અડવાણી આડા પાટે?, કહ્યું ગુજરાત વિકસિત જ હતું, મોદીએ શું ધાડ મારી?

ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ આજે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે પક્ષની સભામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે વામણા સાબિત કરવાનો પ્રયાસ કરતા ચૌહાણની સિદ્ધિઓના પેટભરીને વખાણ કર્યા હતા.
અડવાણીએ કહ્યું હતું કે મોદીને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે ગુજરાત અગાઉથી જ સમૃદ્ધ રાજ્ય હતું. પરંતુ શિવરાજસિંહ ચૌહાણે તો સાવ ગરીબ એવા મધ્યપ્રદેશને સમૃદ્ધ બનાવ્યું છે. આમ તેમણે આડકતરી રીતે ઇશારો કર્યો હતો કે ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસમાં મોદીનો સિંહ ફાળો તો ઠીક પણ કોઇ ફાળો નથી.
નગર અને ગ્રામ કેન્દ્રોના પાલકો અને સંયોજકોના સંમેલનના સમાપન સમારંભમાં બોલતા અડવાણીને આટલાથી સંતોષ ના હોય એમ તેમણે પોતાની આડે પાટે ચઢી ગયેલી ગાડીને આગળ ધારતા જણાવ્યું કે શિવરાજસિંહ ચૌહાણની સરખામણી ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે વાજપેયી વડાપ્રધાન બનવા છતા અત્યંત વિનમ્ર હતા અને એ જ ગુણ મને શિવરાજ ચૌહાણમાં પણ દેખાય છે. ચૌહાણે તેમની વિકાસનીતિઓ દ્વારા મધ્યપ્રદેશની સિકલ બદલી નાખી છે તેમ છતાં તેમનામાં રતિભાર ગુમાન નથી. આમ કહીને તેમણે ફરી એક વખત વારંવાર વિકાસની ક્રેડિટ લેતા રહેતા નરેન્દ્ર મોદીની અપરોક્ષ રીતે ટીકા કરી હતી.
અડવાણીએ અવળી વાણી બોલીને મોદીને આડકતરી રીતે ઇશારો પણ કરી દીધો છે કે આગામી લોકસભાની ચૂંટણી અગાઉ NDAના વડાપ્રધાનપદના ઉમેદવાર બનવાના મોદીના માર્ગ આડા પોતે ઉતરી શકે છે. આ ઘટના દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અડવાણી અને મોદી વચ્ચે ઉભા થયેલા મનભેદ અને મતભેદ પણ સપાટી પર આવી ગયા હતા.












Click it and Unblock the Notifications
