'ભીખમાં આઝાદી' બાદ હવે ગાંધી પર નિવેદન આપીને ફસાઈ કંગના, કોંગ્રેસ નોંધાવશે FIR
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મહાત્મા ગાંધી સામેની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ : મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મહાત્મા ગાંધી સામેની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પટોલેએ કહ્યું કે, મુંબઈ કોંગ્રેસ તેમની વિરુદ્ધ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કંગના રનૌતે મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. તેમણે ગાંધીજીના અહિંસાના મંત્રની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે, કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ કરો. બીજા ગાલને આગળ કરવવાથી સ્વતંત્રતા મળતી નથી.
કંગનાએ આગળ લખ્યું કે, એવા મજબૂત પુરાવા છે કે, તેઓ ઇચ્છતા હતા કે, ભગત સિંહને ફાંસી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કંગનાની ભીખ માંગવાની ટિપ્પણી માટે તેની આકરી ટીકા થઈ રહી છે.
કંગના આટલાથી જ ન અટકી, તેણે કહ્યું કે, ભારતને 1947માં આઝાદી નથી મળી પરંતુ ભીખ માંગી હતી, અસલી આઝાદી 2014માં ત્યારે મળી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી. કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ પણ લખી તેના ચાહકોને તેમના હીરોને સમજદારીપૂર્વક પસંદ કરવા વિનંતી કરી હતી. કંગનાએ ગાંધીજીને સત્તાના ભૂખ્યા અને ચાલાક પણ કહ્યા હતા.
કંગનાએ મહાત્મા ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણીઓ, ઈતિહાસકારો અને શિક્ષણવિદોના આકરા પ્રહારો થયા છે. ઘણા રાજકારણીઓ, તેમના સાથી કલાકારો અને અન્ય લોકોએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. આ સિવાય ઘણા લોકોએ કહ્યું કે, કંગનાએ પોતાનો એવોર્ડ પરત કરવો જોઈએ.