29 નવેમ્બરે કૃષિ કાયદા પરત લેવાઈ શકે, ભાજપે વ્હીપ જારી કર્યો!
ભારતીય જનતા પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદોને ત્રણ લાઈન વ્હીપ જારી કર્યો છે, જેમાં 29 નવેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય ત્યારે સભ્યોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
નવી દિલ્હી, 25 નવેમ્બર : ભારતીય જનતા પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદોને ત્રણ લાઈન વ્હીપ જારી કર્યો છે, જેમાં 29 નવેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય ત્યારે સભ્યોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. વ્હીપ જારી કરીને સરકારે સંકેત આપ્યો છે કે સરકાર સત્રના પહેલા જ દિવસે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ રજૂ કરી શકે છે. વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે ગૃહમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે, જેના માટે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવું પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેમની સરકારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ખેડૂતોના એક વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવતા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ કાયદાને રદ કરવાની મંજૂરી આપી હતી, જેનો સમગ્ર દેશમાં ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ગુરુ નાનક જયંતિ પર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા ત્રણેય વિવાદિત કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો હતો. સરકારના કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણયથી દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જો કે ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી સંસદમાં આ કાયદાઓ અંગે નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માથે છે ત્યારે મોદી સરકાર શિયાળુ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જો કે વિપક્ષો પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારને ઘેરવાની તૈયારી કરીને ગૃહમાં આવશે.












Click it and Unblock the Notifications
