એક્ઝિટ પોલથી હતાશ અખિલેશ, બસપા સાથે ગંઠબંધન કરવા તૈયાર
અખિલેશ યાદવે બીબીસી હિંદી સાથેના ફેસબુક લાઇવમાં કહ્યું કે, ચૂંટણીના પરિણામોમાં જો કોઇ પક્ષને બહુમત ન મળ્યો તો રાષ્ટ્રપતિ શાસન સ્વીકરવા કરતાં તેઓ માયાવતી સાથે હાથ મિલાવવાનું પસંદ કરશે.
ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે બીબીસી હિંદી સાથેના ફેસબુક લાઇવમાં કહ્યું કે, 11 માર્ચના ચૂંટણી પરિણામો તેમના પક્ષમાં જ આવશે. પરંતુ સાથે જ તેમણે એવા પણ સંકેતો આપ્યા હતા કે, યુપી વિધાનસભા ચૂંટણી ના પરિણામો જો એમના પક્ષમાં ન આવ્યા અને અન્ય કોઇ પક્ષને પણ બહુમત પ્રાપ્ત ન થયું તો, રાષ્ટ્રપતિ શાસનના સ્થાને તેઓ માયાવતી સાથે હાથ મિલાવવાનું પસંદ કરશે.
યુપીમાં ભાજપનું રિમોટ કંટ્રોલ નહીં ચાલે
ઉત્તર પ્રદેશમાં કોઇ પણ પક્ષને પૂર્ણ બહુમત ન મળવાની સ્થિતિમાં સમાજવાદી પાર્ટીની રણનીતિ શું હશે? આ સવાલના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસન કોઇ નથી ઇચ્છતું. અમે નથી ઇચ્છતા કે ભાજપ યુપીમાં રિમોટ કંટ્રોલ વડે શાસન કરે. ચૂંટણી પહેલાં પરિવારમાં ક્લેશ થતાં પિતા મુલાયમ સિંહ યાદવથી નારાજ થવા અંગે અખિલેશે કહ્યું કે, નેતાજીને જ્યાં મન થયું ત્યાં તેઓ પ્રચાર કરવા ગયા. અમે તેમને કંઇ નથી કહ્યું.
હું અને રાહુલ ધર્મનિરપેક્ષ સરકાર ઇચ્છીએ છીએ
કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે અખિલેશે કહ્યું કે, રાહુલ ગાંધી અને હું એકસરખી વિચારસરણી ધરાવીએ છીએ, રાહુલ પણ ઇચ્છે છે કે પ્રદેશનો વિકાસ થાય. હું રાહુલ ગાંધીને પહેલેથી ઓળખતો હતો. અમે સાથે મળીને એક સંદેશ આપ્યો, અમે ધર્મનિરપેક્ષ સરકાર ઇચ્છીએ છીએ, વિકાસ માટે સરકાર બનાવવા ઇચ્છીએ છીએ, માટે મેં કોંગ્રેસને સાથ આપ્યો. હું કંજૂસ સાથે મિત્રતા નથી કરતો. અખિલેશે સ્વીકાર્યું કે, કોંગ્રેસ અને સપાને સાથે લાવવામાં રાહુલ અને પ્રિયંકા બંન્નેએ મહત્વની ભૂમિકા ભજવી છે.
અખિલેશનું લક્ષ્ય, સાંપ્રદાયિક શક્તિઓને રાજ્યની બહાર રાખવી
માયાવતી સાથે હાથ મિલાવવાના અખિલેશના નિવેદન બાદ વિવિધ રાજકીય જૂથો અને ખાસ કરીને સપામાં કોલાહલ સર્જાયો છે. અખિલેશના નિવેદન અંગે સપા નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે કહ્યું કે, અખિલેશે બસપા કે માયાવતીનું નામ ઉચ્ચાર્યું નથી. તેમનું એક જ લક્ષ્ય છે અને તે છે સાંપ્રદાયિક શક્તિઓ રાજ્યની બહાર રહે. ભાજપ યુપીને રિમોટ કંટ્રોલ વડે નિયંત્રિત કરે એવું અમે નહીં થવા દઇએ, એમને રોકવાનો પૂરો પ્રયત્ન કરીશું.
ભાજપે પણ કર્યું નિવેદન
અખિલેશના નિવેદન પર ભાજપના નેતા સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું કે, અખિલેશ યાદવે પોતાની નબળાઇ બતાવી છે, તેમણે પૂર્ણ બહુમત મેળવવાનો દાવો પણ ખોટો સાબિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થઇ રહ્યાં હતા એના થોડા સમયમાં જ અખિલેશનું આ નિવેદન સામે આવ્યું હતું. ઉત્તર પ્રદેશ એક્ઝિટ પોલમાં બે મોટી સર્વે એજન્સિઓ દ્વારા ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવામાં અખિલેશે હતાશામાં બસપા સાથે ગઠબંધન કરવાની ઇચ્છા જાહેર કરતાં યુપીમાં રાજકારણનું વાતાવરણ ગરમાયું છે.
અહીં વાંચો