બે દિવસ બંધ રહ્યા બાદ ફરીથી શરૂ થઈ અમરનાથ યાત્રા
ખરાબ હવામાનના કારણે બે દિવસો સુધી બંધ રહ્યા બાદ શુક્રવારે અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે.
ખરાબ હવામાનના કારણે બે દિવસો સુધી બંધ રહ્યા બાદ શુક્રવારે અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે. શુક્રવારે પહેલગામના રસ્તે યાત્રાળુઓના જત્થાને રવાના કરવામાં આવ્યો. બાલટાલ તરફથી યાત્રાનો માર્ગ ભૂસ્ખલનના કારણે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. બુધવારે યાત્રાને ભારે ભૂસ્ખલનના કારણે બંને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએ વરસાદના કારણે યાત્રાના માર્ગ પર મુશ્કેલીઓ આવી રહી છે.
બાલટાલમાં ભૂસ્ખલન ચાલુ છે
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના પ્રવકતા તરફથી શ્રીનગરમાં જાણકારી આપવામાં આવી કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પહેલગામના રસ્તે આજે યાત્રા શરૂ કરવામાં આવી છે. તેમણે જો કે એ પણ જણાવ્યુ કે બાલટાલવાળો રસ્તો હજુ બંધ છે કારણકે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બેઝ કેમ્પમાં ભૂસ્ખલન હજુ ચાલુ છે. આ ઉપરાંત શ્રીનગર-લેહ રસ્તા પર સ્થિત કંગનના દાનીબાગ એરિયામાં પણ ભૂસ્ખલન થઈ રહ્યુ છે. દાનીબાગમાં થયેલા ભૂસ્ખલનના કારણમે શ્રીનગર-લેહ માર્ગ પણ બંધ કરવો પડ્યો છે. આ એક જ રસ્તો છે જે ઘાટીને લેહ સાથે જોડે છે.
અત્યાર સુધી 12 યાત્રાળુના મોત
એક પોલિસ અધિકારી તરફથી જાણકારી આપવામાં આવી છે કે બાલટાલ માર્ગ પર બરારી માર્ગ અને રેલપથરી વચ્ચે મંગળવારે ભૂસ્ખલનના કારણે ત્રણ યાત્રાળુઓના મોત થઈ ગયા. વળી, ચાર તીર્થયાત્રી ઘાયલ થઈ ગયા હતા. વળી, પશ્ચિમ બંગાળના તીર્થયાત્રી જેમનું નામ સંજય સંત્રા છે તેમનું નિધન ગુફાની નજીક કાર્ડિયાક એરેસ્ટના કારણે થયુ. કાર્ડિયાક એરેસ્ટના કારણે બીજા છ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અમરનાથ 3880 મીટરની ઉંચાઈ પર છે અને 28 જૂનથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં લગભગ 12 તીર્થીયાત્રીઓના મોત નીપજ્યા છે.
યાત્રાળુઓને લઈ જતી બસ પલટી ખાઈ જતા બે વ્યક્તિ ઘાયલ
મધ્ય કાશ્મીરમાં ગાંદરબલમાં અમરનાથ જતા યાત્રાળુઓને લઈ જતી બસ પલટી ખાઈ જતા બે વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે. આ બસ કંગનના ગાનિવાનમાં પલટી છે. ઘાયલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.