4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને સંઘનો સાથ નહીં મળે
નાગપુર, 19 જુલાઇ : ભાજપ પ્રમુખ અમિત શાહ શુક્રવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતને મળ્યા હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ સરસંઘચાલકના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. જો કે આ બેઠક આવનારા સમયમાં દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. આ બેઠક બાદ સંઘે સ્પષ્ટ જણાવી દીધું છે કે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને સંઘનો સાથ નહીં મળે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાગવતે અમિત શાહની દિલ્હીમાં બહુમતી વિના જ ભાજપ સરકાર બનાવવાના પ્રયત્નો સામે વાંધો ઉઠાવ્યો છે. સંઘ પ્રમુખે ભાજપના અધ્યક્ષને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ભાજપમાં ફરી ચૂંટણી યોજાવી જોઇએ, આ સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવેલા વાયદાઓને પણ પૂરા કરવા જોઇએ.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપના મુખ્ય રણનીતિકાર અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી 2014માં આરએસએસ દ્વારા ભાજપને ભરપૂર સહયોગ આપવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને ઐતિહાસિક બહુમત મળ્યો છે. આ સમર્થન આપવાનો હેતુ એટલો જ હતો કે દેશ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો અને તેને એક મજબૂત નેતૃત્વ અને નિર્ણાયક સરકાર આપવાની જરૂર હતી.
અમિત શાહ અને ભાગવત વચ્ચે ભાવિ રણનીતિઓ અંગે પણ ચર્ચા થઇ છે. સંઘ પ્રમુખે શાહને સંઘ પરની નિર્ભરતા ઘટાડીને પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિને મજબૂતી પ્રદાન કરવા જણાવ્યું છે.
નાગપુરમાં અમિત શાહનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે વિખવાદ ઉભો થયા પછી આ બેઠક તણાવપૂર્ણ રહી હોવાના અહેવાલ છે. આ મુલાકાત બાદ શિવસેના સાથે ભાજપ કેવી રીતે સંબંધ સુધારે છે તેના પર સૌની નજર છે.