રાફેલ ડીલઃ કોંગ્રેસ સામે કરેલ 5000 કરોડનો માનહાનિ કેસ પાછો લેશે અનિલ અંબાણી
અનિલ અંબાણીની આગેવાનીવાળા રિલાયન્સ ગ્રુપે રાફેલ ડીલ મામલે કોંગ્રેસ સામે દાખલ કરેલ 5000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો લેવાનો નિર્ણય કર્યો છે.
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની આગેવાનીવાળા રિલાયન્સ ગ્રુપે રાફેલ ડીલ મામલે એક લેખ અને નિવેદનો પર કોંગ્રેસ નેતાઓ અને નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર અને અમુક અન્ય લોકો સામે દાખલ કરેલ 5000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો લેવાનો નિર્ણય કર્યો છે. સિવિલ તેમજ સત્ર ન્યાયાધીશ પી જે તમાકુવાલાની અદાલત મામલાની સુનાવણી કરી રહી છે.
નેશનલ હેરાલ્ડના વકીલ પી એસ ચમ્પનેરીએ કહ્યુ કે રિલાયન્સ ગ્રુપના વકીલ રસેશ પારિખે આ વિશે સૂચિત કર્યુ છે કે તેમને ગ્રુપ તરફથી માનહાનિ કેસ પાછો લેવા વિશે નિર્દેશ મળી ચૂક્યા છે. તેમણે કહ્યુ કે સમર વેકેશન બાદ કોર્ટની કાર્યવાહી શરૂ થયા બાદ કેસ પાછો લેવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઈ જશે. ગ્રુપ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'અમારુ માનવુ છે કે અમુક વ્યક્તિઓ કોર્પોરેટ બૉડી દ્વારા રિલાયન્સ ડિફેન્સ અને ડસોલ્ટ વચ્ચે ઑફસેટ સમજૂતી અંગેની નિવેદનબાજી લોકસભા ચૂંટણીને જોતા રાજકીય ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાફેલ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એટલા માટે માનહાનિના આ કેસને પાછો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'
અનિલ અંબાણીની માલિકીવાળી કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ ડિફેન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે કોંગ્રેસ નેતાઓ સુનીલ જાખડ, રણદીપ સિંહ સુરજેવાલા, ઓમન ચાંડી, અશોક ચવ્હાણ, અભિષેક મનુ સિંઘવી, સંજય નિરુપમ અમુક પત્રકારો અને નેશનલ હેરાલ્ડના એડીટર સામે સિવિલ માનહાનિ કેસ દાખલ કર્યો હતો. વર્તમાનપત્ર દ્વારા પ્રકાશિત લેખના લેખક વિશ્વ દીપક સામે પણ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ISRO એ સફળતાપૂર્વક PSLVC46થી રિસેટ 2બીને કર્યુ લૉન્ચ