અણ્ણા હજારેએ ઝેર ઓક્યું, સપનામાં ખોવાયેલા છે કેજરીવાલ
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: અરવિંદ કેજરીવાલ સાથે અણ્ણા હજારે વચ્ચે વધતું જતું અંતર દેશને જનતાએ સતત ચકરાવે ચડાવી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે બંને સાથે મળીને હુંકાર કર્યો હતો અને લોકપાલ બિલના મુદ્દે ક્રાંતિ આવી, આજે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ એકબીજા મોંઢા પણ જોવાનું પસંદ કરતા નથી. મંગળવારે ફરી એકવાર અણ્ણા હજારેએ ઝેર ઓક્યું છે અને કહ્યું છે કે કેજરીવાલ સપનાની દુનિયામાં ખોવાયેલા રહે છે.
અણ્ણા હજારેએ દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે 'સમયની સાથે મેં અરવિંદ કેજરીવાલ માટે મારો દ્રષ્ટિકોણ બદલી લીધો છે. જો હું કારણ બતાવીશ તો અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલીઓ વધી જશે. માટે મારે ચુપ રહેવું જોઇએ. હું ફક્ત એટલું જ કહીશ કે અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી સપનાની દુનિયામાં ખોવાયેલા છે. આ પ્રમાણે પ્રજાનું ભલુ થશે નહી.
અણ્ણા હજારેએ વધુમાં જણાવ્યું હતું કે ' જો અરવિંદ કેજરીવાલ એમ વિચારી રહ્યાં હોય કે હું તેમની પાસે જઇશ તો તેમનું આ સપનું ક્યારેય પુરૂ થશે નહી.' જો કે હવે અણ્ણા હજારે કંઇ પણ કહે પરંતુ અરવિંદ કેજરીવાલ એમ વિચારી રહ્યાં છે કે આજે નહી તો કાલે તે અણ્ણા હજારેને મનાવી લેશે. અરવિંદ કેજરીવાલે થોડાં દિવસો પહેલાં કહ્યું હતું કે, 'અણ્ણા હજારે થોડા દિવસો માટે નારાજ છે અને આ નારાજગી જલદી ખતમ થઇ જશે. હું તેમનો ભક્ત છું, અને હંમેશા રહીશ. હું તેમના બતાવેલા રસ્તા પરથી હટીશ નહી.
ફરી થશે આંદોલન
અણ્ણા હજારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકપાલ બિલ પાસ ન કર્યું તો 30 જાન્યુઆરી 2013ના રોજ પુણેથી ફરી એકવાર આંદોલન શરૂ થશે. આ વખતનું આંદોલન પહેલાં કરતાં વધારે અસરકારક હશે. અણ્ણા હજારે કહ્યું હતું કે 'હું રાજ્યસભામાં રજૂ કરેલા બિલનો અભ્યાસ કરી રહ્યો છું, તે સશક્ત છે કે નહી. મારું આ વખતનું આંદોલન 2014ની ચુંટણી સુધી ચાલુ રહેશે. અણ્ણા હજારેએ કહ્યું હતું કે લોકસભાને ભંગ કરવાનો સમય આવી ગયો છે. આ લોકોને સંવિધાનની ખબર નથી.