રાજકીય પક્ષ રચી પરિવર્તન લાવવું શક્ય નથી : અણ્ણા હઝારે
મહારાષ્ટ્રના રાલેગાંવમાં પોતાના સમર્થકોને જણાવતા હઝારેએ કહ્યું કે 'તેઓ ચૂંટણી લડવા કે રાજકીય પક્ષની રચના કરવામાં રસ ધરાવતા નથી.' અન્ના હઝારેના સમર્થકો પણ નથી ઇચ્છતા કે અન્ના હઝારે ચૂંટણી લડે અને રાજકીય પક્ષની રચના કરે.
અણ્ણા હઝારેની ટિપ્પણી તેમની જ ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલ સાથે વિરોધાભાસ સર્જે છે. અરવિંદ કેજરીવાલ હાલ રાજકીય પક્ષ રચવા અંગે લોકોના મંતવ્યો જાણવા માટે સર્વે કરાવી રહ્યા છે. ટીમ અન્ના વર્તમાન રાજકીય સ્થિતિ અંગે વિરોધાભાસમાં આવી ગઇ છે.
તાજેતરમાં અણ્ણા હઝારેએ એક વિડિયોમાં જણાવ્યું હતું કે સંસદમાં સારા અને વફાદાર પ્રતિનિધિઓને મોકલવા જોઇએ. આ માટે મતદાનનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચવું જોઇએ. આ સિધ્ધિ કેવી રીતે મેળવી શકાય? અમે કોઇ પક્ષ કે જૂથ સાથે સંકળાયેલા નથી. ચળવળમાં સંકળાયેલા સભ્યો પણ તેમના સ્થાને જ રહ્યા છે. ચળવળથી જે પરિવર્તન લાવી શકાય છે તે રાજકીય પક્ષ રચીને લાવી શકાય એમ નથી. હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું.'