સેના આપશે હેમરાજના પરિવારને પુરતો હકઃ આર્મી ચીફ
જનરલે કહ્યું કે, મારું આશ્વાસન છે કે શહીદ હેમરાજના પરિવાર તરફથી જે માંગ હશે, તેને સેના પૂરી કરશે. પરિજનોને તેમનો હક અપાવવામાં આવશે. સેના પ્રમુખ ત્યાં 20 મીનિટ રોકાયા હતા. તેમણે કહ્યું કે, પરિજનોની કેટલીક માંગો અને ગામના વિકાસને લઇને તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે વાતચીત કરશે. પરિજનોએ ગામમાં હેમરાજની મૂર્તિ સ્થાપિત કરવાની માંગ પણ કરી છે. સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની પણ માંગ કરી છે. આ અંગે પૂછવામાં આવતા સેનાધ્યક્ષે કહ્યું કે સેના પોતાનું કામ કરી રહી છે.
જનરલ સિંહે પાકિસ્તાનના એ દાવાનો ઇન્કાર કર્યો કે ભારતીય સેનાના હુમલામાં તેમના એક સૈનિકનું મોત નીપજ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે, જો પાકિસ્તાનનો કોઇ સૈનિક માર્યો ગયો હશે તો તે જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો હશે. ભારતીય સૈનિક એલઓસી પાર નથી કરતા. તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારના એ નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના સંબંધો બે દશકાઓ પાછળ જતા રહ્યાં છે. સેના પ્રમુખે કહ્યું કે, મને એ અંગે કોઇ જાણકારી નથી.