જંતર મંતર પર 'આપ'ની ઉજવણીમાં કેજરીવાલના ચાબખા
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આજે તેઓ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધીમાં અનશન પર બેઠેલા અણ્ણા હઝારેને મળવા નહીં જાય. પહેલા કેજરીવાલ અને કુમાર વિશ્વાસ બંને અણ્ણાને મળવા જવાના હતા પરંતુ હવે માત્ર કુમાર વિશ્વાસ જ રાલેગણ જશે.
ગઇકાલે રાત્રે જંતર મંતર પર કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ ગુરુવારે અણ્ણાના અનશનમાં સહભાગી થશે. પરંતુ અણ્ણાની ભાવનાનું સન્માન કરતા તેમની સાથે અનશન મંચ પર નહીં બેસે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત હાસલ કર્યા બાદ અરવિંદ અને અણ્ણાની આ પ્રથમ મુલાકાત થવાની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારેના અનશનનો આજે ત્રીજો દિવસ છે. તેમનું બ્લડ પ્રેશર વધેલું છે. પરંતુ તેઓ જનલોકપાલ માટે અનશનની પોતાની હટ પર અડીગ છે. એક વર્ષ પહેલા અણ્ણા અને અરવિંદ કેજરીવાલ એક સાથે મળીને ભ્રષ્ટાચારની સામે જંગ લડી રહ્યા હતા. ત્યારબાદ બંનેએ અલગ-અલગ રસ્તાઓ પકડીને પોતાનું અભિયાન ચાલુ રાખ્યું.
જુઓ જંતર મંતર પર કેજરીવાલે શું કહ્યું...
આમ આદમીની જીત
અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકરોને પોતાની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું કે આ સામાન્ય માણસની જીત છે, પાર્ટીની જીત નથી, તમારી જીત છે.
હવે આ લડાઇ દેશમાં લઇ જવાની છે
કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે હવે આ લડાઇ માત્ર દિલ્હી પૂરતી સિમિત નથી પરંતુ તેને હવે આખા દેશમાં લઇ જવાની છે.
રાહુલ ગાંધી સામે કુમાર વિશ્વાસ
કેજરીવાલે એવી પણ જાહેરાત કરી કે આવનારા લોકસભા ચૂંટણીમાં તેઓ રાહુલ ગાંધીની સામે કુમાર વિશ્વાસને ચૂંટણીમાં ઊભા રાખશે.
ભાજપને પડકાર
કેજરીવાલે ભાજપને આડા હાથે લેતા જણાવ્યું કે જેમ તેમણે દિલ્હીમાં જોડતોડની રાજનીતિ કરવાની ના કહી દીધી છે તેમ તેઓ વચન આપે કે અન્ય કોઇ પણ રાજ્યમાં જોડતોડની રાજનીતિ નહીં કરે, અને પોતાની સરકાર નહીં બનાવે.
અણ્ણાને મળવા જઇશું
કેજરીવાલે કહ્યું કે લોકપાલ બિલ માટે અમર્યાદિત અનશન પર બેઠેલા અણ્ણા હઝારેને તેઓ સમર્થન કરે છે, અને તેઓ અને કુમાર વિશ્વાસ આવતીકાલે એટલે કે ગુરુવારે અનશન પર બેઠેલા અણ્ણા હઝારેને મળવા જશે.
અણ્ણાનો આદર કરી મંચ પર નહીં બેસીએ
કેજરીવાલે એવું પણ જણાવ્યું કે અણ્ણાજીના સિદ્ધાંતોનો તેઓ આદર કરે છે માટે અમે અણ્ણાજીને મળવા માટે મંચ પર નહીં જઇએ પરંતુ પબ્લિક રોમાં બેસીને અણ્ણાને અનશન માટે સમર્થન કરીશું.