કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી, 30 સપ્ટેમ્બર સુધી જેલ
જોધપુર, 16 સપ્ટેમ્બર : આજે આસારામની જામીન અરજી કોર્ટે ફગાવી છે. આજે જોધપુર કોર્ટે તેમની જામીન અરજી અંગે સુનાવણી કરતા વધુ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હવે આસારામ ૩૦ સપ્ટેમ્બર, 2013 સુધી જેલમાં રહેશે. આસારામની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. આ સાથે જોધપુરની જિલ્લા કોર્ટે તેમને સુવિધાઓ આપવા અંગેની અરજીમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેનો નિર્ણય પણ આજે આવવાનો છે.
સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં જેલમાં બંધ આસારામ બાપુએ અગાઉ 12 સપ્ટેમ્બરે તેમનો તબીબી રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. રિપોર્ટ જોયા બાદ કોર્ટે આસારામની તમામ માંગણીઓ અંગે નિર્ણય આગામી 16 સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો હતો. હવે જામીન અરજી નકારવામાં આવતા આસારામને હવે 30 સપ્ટેબર સુધી જેલમાં રહેવું પડશે.
સોમવારે જોધપુરની મથુરા દાસ માથુર હોસ્પિટલમાં આસારામનો એમઆરઆઈ ટેસ્ટ કરાયો હતો. જોધપુર પોલીસના મતે તેમને આસારામ વિરુદ્ધ બીજી પણ કેટલીક ફરિયાદો મળી છે. આસારામ છેલ્લા બે સપ્તાહથી જેલમાં બંધ છે. મેડિકલ ટેસ્ટ દરમિયાન આસારામ થોડા ચિંતિત હતા. તેમણે તપાસ દરમિયાન બ્લડ સેમ્પલ આપાવાની ના પાડી દીધી હતી. આસારામે કહ્યું કે મારા ઉપરના જુલ્મોની હવે હદ આવી ગઈ છે.
જેલમાં ગંગાજળ, બહારનું ભોજન અને વ્યક્તિગત પથારી સંબંધી આસારામની અરજી અંગે સુનાવણી કરી હતી. અગાઉ કોર્ટના આદેશો પ્રમાણે જેલ સત્તાવાળાઓએ મથુરાદાસ માથુર હોસ્પિટલમાં આસારામના આરોગ્યની તપાસ કરાવી હતી.
આ તપાસ દરમિયાન આસારામ ખરેખરમાં બિમાર છે કે કેમ, તેમજ તેમને બહારના ભોજન તેમજ અન્ય કોઈ સારવારની જરૂર છે કે કેમ તે માટેના જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા. સૂત્રોના મતે આસારામ દિલ્હીની કોઈ મોટા વકીલ દ્વારા જામીન અરજી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જેથી તેમની અરજી કોર્ટ ફગાવી ન શકે.