ભાજપની જીતથી આસારામ ખુશ, કહ્યું હવે બધુ સારુ થઇ જશે
જોધપુર, 10 ડિસેમ્બર: રાજસ્થાનમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. 162 બેઠકો પર જીત મેળવીને વસુંધરા રાજે રાજસ્થાનમાં એકવાર ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. ભાજપની જીતથી માત્ર તેમના નેતાઓ જ નહી પરંતુ શારીરિક શોષણના આરોપમાં જેલની હવા ખાઇ રહેલા આસારામ પણ ભાજપની જીત પર ખૂબ જ ખુશ છે.
ગુરુકુળની સગીર વિદ્યાર્થિનિનું શારીરિક શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુ રાજસ્થાનમાં સ્પષ્ટ બહુમતીની સાથે ભાજપની જીતથી ખૂબ જ ખુશ છે. મહિનાઓથી જેલમાં બંધ આસારામના ચહેરા પર ભાજપની જીતની ખુશી સ્પષ્ટપણે દેખાઇ રહી હતી.
કોર્ટમાં હાજરી દરમિયાન આસારામે જણાવ્યું કે સરકાર બદલાઇ રહી છે, સમય આવતા બધુ જ સારુ થઇ જશે. જોધપુરમાં કોર્ટથી રવાના થવાના સમયે આસારામે જણાવ્યું કે સરકાર બદલાઇ રહી છે, સત્યની જીત થશે. ભાજપની જીતથી ખુશ આસારામે જણાવ્યું કે જનતા બધુ જ જાણે છે કે શું થઇ રહ્યું છે.
કોર્ટમાં હાજરી બાદ પાછા ફરી રહેલા આસારામે પત્રકારોને જણાવ્યું કે હવે સરકાર બદલાઇ છે તેમનો સારો સમય આવવાનો છે. જોકે આસારામના સમર્થનમાં ભાજપ નેતા ઉમા ભારતી પણ સામે આવી ચૂકી છે. એવામાં સરકાર બદલાતાની સાથે આસારામની આશાઓ પણ વધી ગઇ છે.