આસામના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, તમારા પાપની સજા છે કેન્સર
આસામના સ્વાસ્થ્ય મંત્રીએ કેન્સર અંગે આપ્યું વિવાદિત નિવેદનઆ નિવેદન બાદ ગરમાયુ રાજકારણઆ અંગે વધુ વાંચો અહીં...
કેન્સર આજની તારીખમાં પણ એવો ભયાનક રોગ છે કે, એકવાર એની જાળમાં વ્યક્તિ આવે પછી ભાગ્યે જ છૂટી શકે છે. કેન્સર માત્ર જે-તે વ્યક્તિ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલ પરિવારની જિંદગી પણ ઉપરતળે કરી નાંખે છે. આસામના સ્વાસ્થ્ય મંત્રીએ હાલમાં જ કેન્સર અંગે ખૂબ વિવાદિત અને શરમજનક નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, કેટલાક લોકોને કેન્સર જેવી ઘાતક બીમારી એટલા માટે થાય છે કે, કારણ કે તેમણે ભૂતકાળમાં પાપ કર્યા છે. આ ઇશ્વરનો ન્યાય છે, આવા લોકો પોતાના પાપોની સજા મેળવે છે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હિંમત વિશ્વ શર્મા શિક્ષકોને નિયુક્તિ પત્ર વિતરિત કરવા એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ વાત કહી હતી.
તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે પાપ કરીએ, ત્યારે ઇશ્વર આપણને દંડ કરે છે. ઘણીવાર આપણે સાંભળીએ છે કે, યુવાનોને કેન્સર થઇ જાય છે કે કોઇ યુવાન કોઇ દુર્ઘટનાનો ભોગ બને છે. જો તમે પૃષ્ઠભૂમિની ચકાસણી કરો તો તમને ખ્યાલ આવશે કે, આ માત્ર ઇશ્વરનો ન્યાય છે. આથી આપણે ભગવાનના આ નિર્ણયનું સન્માન કરવું જોઇએ અને એના પરથી પાઠ ભણવો જોઇએ, ખોટા કામ કરતા બચવું જોઇએ. આ નિવેદન બાદ મોટો વિવાદ ઊભો થયો છે, સોશ્યલ મીડિયા પર લોકો મંત્રીની ખૂબ આલોચના કરી રહ્યાં છે. સાથે રાજકારણનું વાતાવરણ પણ આ મુદ્દે ગરમાયું છે. દેશના પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે આ અંગે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, સત્તાધારી પક્ષના નેતાનું આવું નિવેદન જે-તે વ્યક્તિ અને પક્ષની વિચારસરણી રજૂ કરે છે. કોંગ્રેસ નેતા દેવવ્રત સાઇકિયાએ આ અંગે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે, સ્વાસ્થ્ય મંત્રીએ કેન્સરના દર્દીઓની ભાવનાને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી છે. તેમણે આ ટિપ્પણી સાર્વજનિક રીતે કરી છે, માટે તેમણે આ માટે સાર્વનજિક રીતે માફી માંગવી જોઇએ.