રામદેવ, અણ્ણા અને શ્રી શ્રી પર અટલજીની ભત્રીજીનો ગંભીર આરોપ
અટલ બિહારી વાજપાયીના ભત્રીજીએ ભાજપ અને સંઘ પર પ્રહારો કરતાં કહ્યું કે, રામદેવ, અણ્ણા અને શ્રી શ્રી આરએસએસના એજન્ટ છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની ભત્રીજીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અણ્ણા હઝારે, બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકર પર આરોપ મુકતા તેમને ભાજપ અને સંઘના એજન્ટ કહ્યા છે. ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા અને અટલ બિહારી વાજપાયીના ભત્રીજી કરુણા શુક્લાએ કહ્યું હતું કે, દેશના જે રાજ્યોમાં ભાજપની સરકાર છે, ત્યાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે. આવનારા સમયમાં ભાજપને કોઇ પણ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત નહીં થાય. આ રાજ્યોમાં પોતાની સ્થિતિને જોયા પછી જ ભાજપે ત્યાં રામદેવ, અણ્ણા હઝારે અને શ્રી શ્રીને મોકલવાનું શરૂ કર્યું છે.
અણ્ણા પોતાનું મૂલ્યાંકન કરે
સંઘ પર આકરા પ્રહારો કરતાં કરુણાએ કહ્યું કે, ગાંધીની ટોપી પહેરીને ગાંધીના હત્યારાઓનો સાથ આપનારા અણ્ણા હઝારે પોતાનું મૂલ્યાંકન કરે, તેઓ યુપીએ સરકાર સત્તામાં હોય ત્યારે જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શા માટે કરે છે, જ્યારે ભાજપ સરકાર આવે ત્યારે તેઓ ચુપ્પી સાધી લે છે અને ઉપદેશ આપવા માંડે છે, તેઓ કહે છે કે, જનતા જાતે આંદોલન કરશે.
આ લોકો RSSના એજન્ટ છે
લોકપાલ બિલ અંગે કરુણાએ કહ્યું કે, યુપીએ સરકારને ખસેડવા માટે જ લોકપાલ બિલ માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આથી જ એ વખતે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, આ આરએસએસનું ષડયંત્ર છે, પંરતુ એ સમયે કોઇએ આ વાત નહોતી સ્વીકારી. પછીથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જાતે આ વાત સ્વીકારી હતી કે અણ્ણા અને બાબા રામદેવના આ આંદોલનને આરએસએસનું સમર્થન હતું. એટલું જ નહીં ધરણાસ્થળ પર પણ આરએસએસના લોકો હાજર હતા.
'આપ' પર પણ કર્યા પ્રશ્નો
આમ આદમી પાર્ટી પર પણ હુમલો કરતાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટી પણ એ જ રાજ્યોમાં ચૂંટણી લડે છે, જ્યાં ભાજપ નબળું પડે છે. આમ તેઓ ભાજપને પણ ફાયદો કરાવે છે. વિવેકાનંદ ફાઉન્ડેશન પર પણ સવાલ કરતાં તેમણે કહ્યું કે, વિવેકાનંદ ફાઉન્ડેશન આરએસએસના વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ગઠિત કરવામાં આવ્યું છે, જેમાં આરએસએસના ઘણા મોટા નેતા સક્રિય છે.