Atiq Ahmed property : કરોડોની સંપતી છોડી ગયો છે અતીક અહેમદ, હવે વાપરનારું કોણ?
Atiq Ahmed property : માફિયા અતીક અહેમદ અને તેના ભાઇ અશરફની હત્યા શનિવારના રોજ કરવામાં આવી હતી. અતીક અહેમદ પાંચ છોકરાઓમાંથી એક અશરદનું પણ એન્કાઉન્ટર થઇ ગયું છે. જ્યારે અતીકના બે પુત્રો જેલમાં છે, તો અન્ય બે સગીર બાળકો બાળ સુધાર ગૃહમાં છે. આ સાથે અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પણ ઉમેશ પાલ હત્યાકાંડની આરોપી છે. શાઇસ્તા હાલ ફરાર છે.
આજે આપણે અતીક અહેમદની સંપત્તિની વિગતો વિશે જાણીશું. અતીક અહેમદ કાયદેસર રીતે કેટલી મિલકત ધરાવે છે? અત્યાર સુધી અતીકની ઘણી બેનામી પ્રોપર્ટી પણ સામે આવી છે.
વર્ષ 2019ની લોકસભામાં અતીક અહેમદે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમને માત્ર 833 વોટ મળ્યા હતા. તે દરમિયાન અતીક પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. અતીકે તેના ચૂંટણી સોગંદનામામાં સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી હતી. આ મુજબ તેમની પાસે 27 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ હતી.
આઠમું પાસ અતીક પાસે બે કરોડ 87 લાખથી વધુની જંગમ સંપત્તિ હતી, જ્યારે 24 કરોડ 99 લાખથી વધુની સ્થાવર મિલકતો નોંધાયેલી હતી. અતિકના નામે મોંઘાદાટ વાહનો, ચાર રાઈફલ અને પિસ્તોલ રજિસ્ટર્ડ હતી. આતિકની પત્ની શાઇસ્તા પરવીન પાસે 50 લાખ રૂપિયાથી વધુના દાગીના છે. આ સિવાય પ્રયાગરાજથી દિલ્હી અને ગ્રેટર નોઈડા સુધી અતીક અહેમદના નામે પ્લોટ, ફ્લેટ, બંગલા અને ખેતીની જમીન છે.
બેનામી પ્રોપર્ટી અંગે જુદા જુદા દાવા કરવામાં આવે છે. તાજેતરમાં EDએ અતીકના નજીકના મિત્રો અને તેને ઓળખતા લોકોના સ્થળો પર રેડ કરી હતી. અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા છે, તે મુજબ અતીક પાસે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ છે. આવા સમયે કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, અતીક પાસે 15 હજાર કરોડથી વધુની બેનામી સંપત્તિ છે.
સાબરમતી જેલમાં રોકાણ દરમિયાન અતીક અહેમદે એક બિલ્ડરને ધમકી પણ આપી હતી. હવે તેની ચેટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં અતીકે બિલ્ડર પાસેથી પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. અતીકે જણાવ્યું હતું કે, તેના પુત્રો ઉમર અને અસદનો હિસાબ આપો. કહેવાય છે કે, અતીકના કહેવા પર બિલ્ડરે તેના પુત્ર અસદને 80 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
અતીક અહેમદે 1996માં શાઇસ્તા પરવીન સાથે લગ્ન કર્યા હતા. બંનેને પાંચ પુત્રો છે - જેમાં મોહમ્મદ ઉમર, મોહમ્મદ અલી, અસદ અહેમદ અને બે નાના પુત્રો છે. બે પુત્રો - મોહમ્મદ ઉમર અને મોહમ્મદ અલી જેલમાં બંધ છે. જ્યારે બે સગીર પુત્રો હજૂ પણ બાળ સુધાર ગૃહમાં છે.
અતીકનો પુત્ર અસદ અહેમદ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી હતો અને 24 ફેબ્રુઆરીની હત્યા બાદ પોલીસ તેને શોધી રહી હતી. 13 એપ્રિલના રોજ UP STFએ ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર કર્યું હતું. અસદ પર પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
મોહમ્મદ ઉમર પર બે લાખની ઈનામી રકમ છે. આ સાથે તેના પર છેડતીનો આરોપ છે. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં સીબીઆઈ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મોહમ્મદ અલી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બે સગીર પુત્રોની અટકાયત કરી છે.
અતીકના ભાઈ અશરફની સફર - 2004ની સામાન્ય ચૂંટણીમાં, અતીક અહેમદ ફુલપુરથી સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યો અને સાંસદ તરીકે દિલ્હી ગયો હતો. આ પછી અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ હતી. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી.
આ સાથે જ બસપાએ રાજુ પાલને પોતાના ઉમેદવાર તરીકે સામે ઉભા રાખ્યા હતા. આ પેટાચૂંટણીમાં બસપાના ઉમેદવાર રાજુ પાલે અતીક અહેમદના ભાઈ અશરફને હરાવ્યો હતો. માત્ર અશરફ જ નહીં, આતિફ પણ આ હાર પચાવી શક્યો ન હતો.
પેટાચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિનાઓ બાદ 25 જાન્યુઆરી, 2005ના રોજ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવનું પણ મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હત્યા કેસમાં સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફનું સીધું કનેક્શન સામે આવ્યું હતું.