સંતો માટે પણ હોવી જોઇએ આચારસંહિતા : બાબા રામદેવ
જયપુર, 8 નવેમ્બર : યોગગુરુ બાબા રામદેવે સાધુઓ પર ઉઠી રહેલા સવાલો પર વિરામ લગાવવાના હેતુથી આજે જણાવ્યું કે સંતો માટે પણ આચારસંહિતા હોવી જોઇએ. તેમણે જણાવ્યું કે સાધુઓ જો પાપ કરે તો તેમને પણ સામાન્ય લોકોને કરવામાં આવતા દંડથી વધારે દંડ આપવો જોઇએ. વર્તમાન સમયમાં ધર્મસત્તા અને રાજસત્તામાં ઘણું પતન થયું છે. તેમાં સુધારો કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે હું સીધી રીતે રાજકારણમાં પ્રવેશ કરીશ નહીં. મારી સમક્ષ બે મોટી જવાબદારી છે. તેમાં પહેલી ઋષિ સંસ્કૃતિઓના કર્તવ્યને નિભાવવાની અને બીજી દેશ સમક્ષ ઉભા થયેલા નેતૃત્વ સંકટનું સમાધાન લાવવાની છે. તેમણે નરેન્દ્ર મોદીને ભગવા વસ્ત્રો વગરના ફકીર જણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી ભ્રષ્ટાચારી કે લુટારા હોઇ શકે નહીં. તેઓ દેશના ભાગલા કરી શકે નહીં. અમે તેમના પર વિશ્વાસ કર્યો છે. પરિવર્તન બંધારણીય રીતે જ આવશે. આ માટે જ નરેન્દ્ર મોદીને ચૂંટવામાં આવે.
તેમણે ગુવાહાટી હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને ગેરબંધારણીય ગણાવવાને બંધારણની મોટી ઘટના ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધોરણે આ અંગે પોતાનો મત વ્યક્ત કરવો જોઇએ. જો કે તેમણે રાજસ્થાનમાં વસુંધરા રાજે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.