કિસાન મહાપંચાયત પહેલા રાકેશ ટિકૈત બોલ્યા, 'કૃ।ષિ કાયદા પાછો ખેંચાયા બાદ જ ઘરે જઇશ'
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે દેશના ખેડૂત છેલ્લા નવ મહિનાથી રસ્તા પર બેઠા છે, પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર નથી.
મુઝફ્ફરનગર : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે દેશના ખેડૂત છેલ્લા નવ મહિનાથી રસ્તા પર બેઠા છે, પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર નથી. આવા સમયે સંયુક્ત કિસાન મોરચાની હાકલ પર આજે એટલે કે રવિવારના રોજ (05 સપ્ટેમ્બર) મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયત બોલાવવામાં આવી હતી. આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપી સહિત આજુબાજુના જિલ્લાઓના ખેડૂતોએ સવારથી જ મુઝફ્ફરનગરના જીઆઈસી ગ્રાઉન્ડ પર ભેગા થવાનું શરૂ કર્યું છે.
કિસાન મહાપંચાયતને જોતા પોલીસ અને વહીવટી તંત્ર પણ સતર્ક છે અને સુરક્ષાની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દળની સાથે અર્ધલશ્કરી દળો પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી અને ડ્રોન દ્વારા પણ મહાપંચાયત પર નજર રાખવામાં આવશે. ટ્રાફિક સરળ રહે તે માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટની સાથે સરહદો પર પોલીસકર્મીઓ પણ તૈનાત છે. આ સાથે જ ભારતીય કિસાન યુનિયનના અધિકારીઓ દાવો કરે છે કે, રવિવારના રોજ યોજાનારી કિસાન મહાપંચાયત ઐતિહાસિક હશે. તેમનો દાવો છે કે, લાખો ખેડૂતો મહાપંચાયતમાં ભેગા થશે.
ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો લગભગ 9 મહિનાથી દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યા છે. આ મહાપંચાયતમાં જોડાવા માટે ખેડૂત નેતા રાકેશ ટિકૈત 9 મહિના બાદ મુઝફ્ફરનગર આવી રહ્યા છે. ટિકૈત મુઝફ્ફરનગરના છે અને ખેડૂતોનું આંદોલન શરૂ થયું ત્યારથી તેમને અહીંયા પરત આવ્યા નથી. ટિકૈતે કહ્યું, 'આંદોલન શરૂ થયા બાદ હું પહેલીવાર મુઝફ્ફરનગર જઈ રહ્યો છું, હું કોરિડોરથી પસાર થઇશ. હું ત્યાંની જમીન પર પગ નહીં મૂકું અને હું મારા ઘર તરફ નજર કરીશ, હું ત્યાંના લોકોને જોઈશ.
ટિકૈતે કહ્યું, 'તમે ગમે તે વિચારો, પણ જ્યાં સુધી કૃષિ કાયદો પાછો ખેંચવામાં આવશે નહીં, ત્યાં સુધી હું ઘરે પાછો ફરીશ નહીં. સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લડનારાઓને કાળા પાણીથી સજા કરવામાં આવી અને તેમને ક્યારેય ઘરે ગયા ન હતા. આ પણ એક પ્રકારનો કાળો કાયદો છે અને જ્યાં સુધી કૃષિ કાયદા પરત નહીં ખેંચવામાં આવે ત્યા સુધી હું પણ ઘરે નહીં જાવ. ત્રણ કૃષિ કાયદા જે કેન્દ્ર સરકારે પસાર કર્યા છે, તે ખેડૂતોના હિતમાં નથી. આ કાયદો દેશને વિદેશી હાથમાં સોંપવાની સંપૂર્ણ તૈયારી છે.
ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો નવ મહિનાથી દિલ્હીની આસપાસ બેઠા છે, પરંતુ સરકાર ખેડૂતોનું સાંભળી રહી નથી.