Bharat Jodo Yatra: મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે કરી માર્ચ
શુક્રવારે ભારત જોડો યાત્રામાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને લેખક તુષાર ગાંધી પણ સામેલ થયા.
Bharat Jodo Yatra: લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે ચાલી રહેલી ભારત જોડો યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં યાત્રાના અંતિમ દિવસે શુક્રવારે સવારે અકોલા જિલ્લાના બાલાપુરથી યાત્રા ફરીથી શરુ થઈ ગઈ અને બુલઢાણા જિલ્લાના શેગાંવ તરફ જઈ રહી છે. યાત્રા દરમિયાન ઘણા મોટા નેતા અને સેલિબ્રિટી પણ જોડાય છે. આ ક્રમમાં શુક્રવારે યાત્રામાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને લેખક તુષાર ગાંધી પણ સામેલ થયા. તેમણે રાહુલ ગાંધી સાથે અમુક કિલોમીટર સુધી માર્ચ કરી.
મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રાનો આજે 12મો દિવસ છે. મહારાષ્ટ્રમાં આ યાત્રાનો છેલ્લો તબક્કો છે. આ યાત્રા આજે સવારે અકોલા જિલ્લાના બાલાપુરથી શરૂ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ ગાંધી આજે શેગાંવમાં જનસભાને સંબોધશે. આ સાથે રાહુલ ગાંધી અહીં સ્થિત ગજાનન મહારાજ મંદિરની પણ મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે બૉલિવુડ અભિનેત્રી રિયા સેને પણ ગુરુવારે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથેની વાતચીતનો ફોટો પણ વાયરલ થયો હતો. રિયા સેને રાહુલ ગાંધી સાથે કેટલાક કિલોમીટર સુધી માર્ચ કરી હતી. આ પહેલા તેલંગાણામાં બૉલિવુડ અભિનેત્રી પૂજાએ પણ યાત્રામાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મંગળવારે વાશિમ જિલ્લામાં આયોજિત એક રેલીને સંબોધિત કરી હતી જેમાં તેમણે વીર સાવરકર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે સાવરકર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતીક છે. તેઓ અંદમાનમાં બે-ત્રણ વર્ષ જેલમાં રહ્યા પછી તેમણે દયાઅરજીઓ લખવાનુ શરૂ કરી દીધુ હતુ. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સાવરકરે પોતાના પર એક અલગ નામથી પુસ્તક લખ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે તેઓ કેટલા બહાદુર છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા, તેમના માટે કામ કરતા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે આદિવાસી નેતા બિરસા મુંડા અંગ્રેજો સામે લડ્યા હતા, પરંતુ આજકાલ તેમની વિચારધારા પર આરએસએસ અને ભાજપ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.
સ્વાતંત્ર્ય સેનાની વીડી સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયુ છે. આ અંગે બાળાસાહેબ શિવસેના (શિંદે જૂથ)ના નેતા વંદના ડોંગરેએ થાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે શિંદે જૂથની શિવસેના પાર્ટીએ પણ રાહુલ ગાંધીની ધરપકડની માંગ કરી છે. ભાજપે પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈને પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પાત્રાએ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યુ છે. તેમણે કહ્યુ કે વીડી સાવરકર વિરુદ્ધ આવા નિવેદનને સહન કરવામાં આવશે નહિ. દેશની આઝાદીમાં કોંગ્રેસે જેટલુ યોગદાન આપ્યુ તેટલુ જ સાવરકરે આપ્યુ છે.
Great grandson of Mahatma Gandhi and author Tushar Gandhi joined Rahul Gandhi in Bharat Jodo Yatra today.
— ANI (@ANI) November 18, 2022
(Source: AICC) pic.twitter.com/Z0DjGPLa71