ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને મળ્યા જામીન, જામા મસ્જિદે જઇ વાંચી સંવિધાનની પ્રસ્તાવના
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યા છે. ચંદ્રશેખરે અહીં નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લોકોને પોતાનો ટેકો આપ્યો હતો.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યા છે. ચંદ્રશેખરે અહીં નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લોકોને પોતાનો ટેકો આપ્યો હતો. જામા મસ્જિદમાં એકઠા થયેલા લોકોને સંબોધન કરતા ચંદ્રશેખરે કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ એ આપણી તાકાત છે. આ કાયદાની વિરૂદ્ધમાં રહેલા તમામ ધર્મોના લોકોએ અમારી સાથે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે મુસ્લિમો આ વિરોધમાં એકલા નથી. આ સમય દરમિયાન ચંદ્રશેખરે બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી. 26 દિવસ પહેલા સીએએ કાયદાના વિરોધમાં દિલ્હી પોલીસ દ્વારા ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે જ કોર્ટે દિલ્હી છોડવાની શરતે ચંદ્રશેખરને જામીન આપી દીધા હતા.
ચંદ્રશેખરને ગુરૂવારે મળ્યા છે જામીન
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને ગુરુવારે રાત્રે તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જે પછી, શુક્રવારે સવારે તેઓ પહેલા દિલ્હીના રવિદાસ મંદિર, ત્યારબાદ ગુરૂદ્વારા અને ચર્ચ ગયા. આ પછી હવે તે જામા મસ્જિદ પહોંચ્યા છે. શુક્રવારે સાંજે, તે સહારનપુરના તેમના ગામ જશે, કારણ કે કોર્ટે ચંદ્રશેખરને ચાર સપ્તાહ માટે દિલ્હી ન આવવાની અને 16 ફેબ્રુઆરી સુધી કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવાની શરતે જામીન આપ્યા છે.
ભીમ આર્મીએ જંતર મંતર સુધી કાઢી હતી રેલી
ચંદ્રશેખરની સંસ્થા ભીમ આર્મીએ 20 ડિસેમ્બરના રોજ જામા મસ્જિદથી જંતર મંતર સુધીની સીએએ વિરુદ્ધ એક પદયાત્રા કાઢી હતી. પોલીસે તેની મંજૂરી આપી ન હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી. 21 ડિસેમ્બરે ચંદ્રશેખરને અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ પછી તેને 16 જાન્યુઆરીએ છૂટા કરવામાં આવ્યો હતો.
જામીનની શરતો વિરૂદ્ધ કરશે અરજી
તીસ હજારી કોર્ટમાંથી શરતી જામીન મેળવ્યા બાદ ચંદ્રશેખરે કહ્યું હતું કે તેઓ આંદોલન ચાલુ રાખશે, જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચાય નહીં ત્યાં સુધી બંધારણીય રીતે આંદોલન ચાલુ રાખશે. અમે દેશના ભાગલા પાડવા માંગતા લોકોની વિરુદ્ધ છીએ. તેમણે જામીનની શરતો અંગે કોર્ટમાં અરજી કરવાની પણ જણાવ્યું છે.