ભિવાની હત્યાકાંડઃ હરિયાણાના ટેક્સી ડ્રાઈવરની ધરપકડ, બજરંગ દળના મોનૂ માનેસરની છે નજીક
ભિવાનીના ચકચારી હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસે શુક્રવારે હરિયાણાના મેવાતથી રિંકુ સૈની નામના ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી છે.
Bhiwani deaths case: ભિવાની હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસે શુક્રવારે હરિયાણાના મેવાતથી રિંકુ સૈની નામના વ્યક્તિની ધરપકડ કરી છે. હરિયાણાના ભિવાનીમાં મળેલી બોલેરો કારમાં કથિત રીતે મૃત મળેલા બે પીડિતો નાસિર અને જૂનેદના પરિવારજનો દ્વારા નોંધવામાં આવેલ એફઆઈરમાં રિંકુ સૈનીનુ નામ છે. રિંકુ સૈની કથિત રીતે કેસના અન્ય એક આરોપી મોનૂ માનેસરની નજીક ગણાય છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા નિવાસી 32 વર્ષીય રિંકુ સૈનીને પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી તેમ રાજસ્થાન પોલીસે એક નિવેદનમાં જણાવ્યુ. પોલીસે કહ્યુ કે રિંકુ સૈની ટેક્સી ડ્રાઈવર, ગાય સંરક્ષણ સમૂહ સાથે જોડાયેલો હતો. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.રિંકુ ટેક્સી ડ્રાઈવર ગાયના દાણચોરો સામે કામ કરતો હતો તેવુ કહેવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે હરિયાણાના ભિવાનીમાં ગુરુવારે બળી ગયેલી બોલેરોમાં બે હાડપિંજર મળી આવ્યા હતા. તે જ દિવસે રાજસ્થાનના ભરતપુરમાં નોંધાયેલી ગુમ થયેલી વ્યક્તિની એફઆઈઆરમાં કારના એન્જીનનો રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને રાજ્યોની પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે ઘટનાની વિગતો ચકાસવા માટે એક ટીમ હરિયાણા મોકલી હતી. હરિયાણાના ભિવાનીના લોહારુ પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાસ ગામમાં ગુરુવારે સવારે બળેલી બોલેરો મળી આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી.
મૃતકના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે બજરંગ દળ સાથે જોડાયેલા ગૌ રક્ષકો દ્વારા બંનેનુ ભરતપુરથી અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ આરોપો પર પ્રતિક્રિયા આપતા બજરંગ દળે કહ્યુ કે પુરાવા વગર તેની પાર્ટીના સભ્યો સામે કેસ નોંધવો ખોટુ છે. રાજસ્થાનના વરિષ્ઠ પોલીસ અધિકારી શ્યામ સિંહે જણાવ્યુ કે ગોપાલગઢ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો અનિલ, શ્રીકાંત, રિંકુ સૈની, લોકેશ સિંગલા અને મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હત્યાની નિંદા કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીનુ વચન આપ્યુ હતુ. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે, 'એક આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને બાકીના આરોપીઓની શોધ ચાલુ છે.' વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે અને આરોપ લગાવ્યો છે કે તેની યુવા પાંખ બજરંગ દળનુ નામ 'રાજકીય પૂર્વગ્રહ' ને કારણે આ કેસમાં ખેંચવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
