8 નવેમ્બર: કાળા નાણાં વિરોધી દિવસ કે કાળો દિવસ?
અરુણ જેટલીએ ઘોષણા કરી હતી કે, ભાજપ પક્ષ 8 નવેમ્બરને કાળા ધન વિરોધી દિવસ તરીકે ઉજવશે.
8 નવેમ્બર, 2017ના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થશે. આ દિવસે ભારતીય જનતા પાર્ટી 'કાળા નાણાંના વિરોધ દિવસ' તરીકે ઉજવશે. નાણાં મંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 8 નવેમ્બરના રોજ પાર્ટીના તમામ નેતાઓ અને પદાધિકારીઓ દેશભરમાં આના કાર્યક્રમ કરશે. આ માટેની જવાબદારી પાર્ટીના નેતાઓને સોંપવામાં આવશે, જેની સૂચિ જલ્દી જ જાહેર કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે, વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ ભાજપે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે અને નોટબંધીનો નિર્ણય પણ આ હેઠળ જ લેવામાં આવ્યો હતો. અમારી સરકારે એસઆઈટીની અરજીઓને માન્ય રાખતા કાળા નાણાંને રોકવાનું કામ કર્યું. પાર્ટીનું કાળા નાણાં વિરુદ્ધનું વલણ લોકો સામે સ્પષ્ટ કરતાં 8 નવેમ્બરના રોજ દેશભરમાં 'કાળા નાણાં વિરોધી દિવસ'ની ઉજવણી કરવામાં આવશે.
વિપક્ષ ઉજવશે 'કાળો દિવસ'
આ પહેલા મંગળવારે કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે નોટબંધીની જાહેરાતના દિવસને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 8 નવેમ્બરને 'કાળા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મંગળવારે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે પીએમ મોદીએ કરેલ નોટબંધીની જાહેરાત સદીનો સૌથી મોટો ગોટાળો છે. આથી 8 નવેમ્બરના રોજ તમામ વિપક્ષી દળો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. ગુલામ નબી આઝાદે આગળ કહ્યું હતું કે, ગત વર્ષે 8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.1000 અને રૂ.500ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી, જે દેશના લોકો પર બહુ મોટો પ્રહાર હતો, નોટબંધીને કારણે અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઇ, મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી. તેમણે તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયન અને જદયુના શરદ યાદવની હાજરીમાં આ જાહેરાત કરી હતી. વિપક્ષની આ જાહેરાતના જવાબમાં હવે ભાજપે 'કાળ નાણાં વિરોધી દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે.