શું મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાત ફોર્મ્યુલા અપનાવશે ભાજપ?
ભાજપ એન્ટીઈનકમ્બન્સીથી બચવા માટે અવનવી રણનીતિ ઘડતી હોય છે ત્યારે આ વખતે મધ્ય પ્રદેશમાં પણ આવી જ તૈયારીઓ થઈ શકે છે.
શું ગુજરાત ફોર્મ્યુલા મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ લાગૂ થશે. સૂત્રો મુજબ સત્તા, સંગઠન અને ઈંટેલીજેન્સના સર્વેથી ભાજપના માથે પરેશાની વર્તાઈ રહી છે. આગલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 18 વર્ષની એન્ટી ઈનકમ્બેન્સીથી મોટું નુકસાન થઈ શકે છે. એવામાં ઉપાય એક જ છે, સરકારની મોટી સર્જરી. મિશન 2023માં ગ્વાલિયર-ચંબલ, બુંદેલખંડ અને વિંધ્ય ભાજપ માટે મુશ્કેલીભર્યું હોય શકે છે. આ વિસ્તારોથી જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને ભાજપના મધ્યપ્રદેશ પ્રમુખ વીડી શર્મા આવે છે. સૂત્રોનું માનીએ તો હાલના સર્વે રિપોર્ટ્સને ધ્યાનમાં રાખતાં પાર્ટીના રણનીતિકાર મધ્ય પ્રદેશમાં મોટો ઉલટફેર અને સર્જરી પર વિચાર કરી શકે છે, જેમાં કેટલાય મંત્રીઓ, ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફરી વળે તો નવાઈ નહીં.
જેને લઈ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મધ્ય પ્રદેશ નહીં આખા દેશમાં લાગૂ તશે, આ દેશમાં ગુજરાત એક આઈડિયલ સ્ટેટ થઈ ગયું છે, જ્યાં દર પાંચ વર્ષમાં ભાજપ માટે વોટશેર વધ્યો છે. ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખી ગુજરાતની જેમ જ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ વાળી સરકાર અને વીડી શર્માના નેતૃત્વ વાળા રાજ્ય સંગઠન બંનેમાં બદલાવની માંગ કરી છે. પત્રને લઈ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ નરોત્તમ મિશ્રાએ કહ્યું કે દરેક રાજ્યમાં સ્થિતિ અલગ છે, મધ્ય પ્રદેશમાં અત્યારે આવું કંઈ નથી. હા, તેમને અગાઉ પણ પત્ર લખ્યા છે.
જો કે સૂત્રોનું માનીએ તો ગુજરાતથી ઉલટું મધ્ય પ્રદેશમાં સર્જરી રાજ્યના પાર્ટી સંગઠનમાં મોટા ઉલટફેર સાથે શરૂ થઈ શકે છે અને રાજ્ય સરકારમાં 4 ખાલી પદ ભરવાની સાથે મહત્વનો બદલાવ થઈ શકે છે.
રાજ્ય ભાજપ પ્રમુખથી બદલાવની શરૂઆત થઈ શકે
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં સૌથી લાંબા સમય સુધી ભાજપના મુખ્યમંત્રી છે, એક તાકાતવર ઓબીસી નેતા જેમનો વિકલ્પ આસાન નથી. એવામાં તેમની જગ્યાએ બીજા કોઈને બેસાડવાની પાર્ટીમાં ઉતાવળ નથી અને પાર્ટીના શીર્ષ નેતાઓમાં આ મામલે સર્વસંમતિ નથી, એવામાં માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય ભાજપ પ્રમુખ જેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, તેમની જગ્યાએ કોઈ આદિવાસી અથવા દલિત ચહેરાને બેસાડી બદલાવની શરૂઆત થશે.
સંગઠન સાથે સરકારમાં પણ બદલાવ
સંગઠન સાથે સરકારમાં પણ બદલાવ થશે, જેમાં કોઈ યુવા ચહેરા, ખાસ કરીને વિંધ્યના નેતાઓને પ્રાધાન્યતા મળશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોને મંત્રિમંડળમાં સામેલ કરવામાં આવશે, જેનાથી જાતિ, ઉંમર અને ક્ષેત્રને સાધી શકે. હાલ રાજ્યમાં 30 મંત્રી છે, જેમાં 10 ક્ષત્રિય, 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી, 2 બ્રાહ્મણ છે. સૂત્રો મુજબ અત્યારના સર્વેના આધારે 127માંથી 60-70 ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા
મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ કહ્યું કે ભાજપ જો ગુજરાત અને વડાપ્રધાનના ચહેરા પર ચૂંટણી લડશે તો તે સ્પષ્ટ છે કે 16 વર્ષના મુખ્યમંત્રીની ખુરસી પર બિરાજમાન નાપસંદ શિવરાજ સિંહનો ચહેરો લોકોને પસંદ નથી, એવામાં 16 વર્ષથી પોતાના ચહેરાને ચમકાવવા માટે જેટલું બ્રાન્ડિંગ તેમણે કર્યું છે તે પૈસા તેમની પાસેથી વસૂલવામાં આવશે. હવે મધ્ય પ્રદેશમાં બદલવાની કવાયત શરૂ થઈ શકે છે.
શિવરાજસિંહનું પત્તું કપાઈ શકે
ઉલ્લેખનીય છે કે 20-30 વર્ષથી વિધાનસભામાં જડ જમાવી ચૂકેલા મોટાં માથાંઓને ટિકિટ ના આપવાથી હિમાચલ જેવા વિદ્રોહને નકારી ના શકાય, માટે સૂત્રો મુજબ- તેમને ડ્રોપ કરતા પહેલાં નેતાઓને વિશ્વાસમાં લઈ ફેસલો થશે, અસાધારણ સ્થિતિમાં આવા નેતાઓ અથવા તેમના પરિજનોને 2024માં લોકસભા ચૂંટણીમાં જગ્યા મળી શકે છે. 30-40 વર્ષથી સક્રિય નેતાઓને ડ્રોપ કરવામાં ઉંમરનું પણ મહત્વ હશે, રાજ્યમાં ઓબીસી મતદાતાઓને સાધવા માટે તેમના પ્રતિનિધિત્વ પર ફોકસ રહેશે કેમ કે તેમની વસ્તી 48%થી વધુ છે, પાછલી વખતે કઠોર ફેસલાને કારણે 2013ની સરખામણીએ પાર્ટીને 56 સીટનું નુકસાન થયું હતું અને સરકાર ચાલી ગઈ હતી, પાર્ટી આ વખતે ફરી પરિસ્થિતિનું પૂનરાવર્તન નહીં ઈચ્છે.