મહેબૂબા સાથે બ્રેક અપ પાછળ આ છે ભાજપનો ગેમ પ્લાન
જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ચાલી રહેલી પીડીપી-ભાજપ સરકાર પડી ભાંગી છે. મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સમર્થન પાછુ ખેંચવાનું એલાન કર્યુ.
જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ચાલી રહેલી પીડીપી-ભાજપ સરકાર પડી ભાંગી છે. મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સમર્થન પાછુ ખેંચવાનું એલાન કર્યુ. રામ માધવે મહેબૂબા મુફ્તી અને પીડીપી પર નિષ્ફળતાઓનું ઠીકરુ ફોડતા કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા પીડીપી-ભાજપ સરકાર બનાવવા પાછળ બે મહત્વના કારણો હતા. પહેલુ - શાંતિ સ્થાપિત કરવી અને બીજુ - ઝડપથી વિકાસ કરવો, પરંતુ સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહેલ પીડીપી આમ કરવામાં નિષ્ફળ રહી છે. આ જ કારણે ભાજપે સમર્થન પાછુ ખેંચી લીધુ છે. જો કે રાજકારણની ગલીઓમાં એક ચર્ચા એ પણ ગરમાયેલી છે કે જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર ખતમ કરવા માટે પીડીપી-ભાજપ સામસામે આવી ગયા હતા. જો કે કારણ ગમે તે હોય પરંતુ સવાલ એ છે કે જમ્મુ કાશ્મીરમાં સરકાર તોડી પાડવા પાછળ ભાજપનો ગેમ પ્લાન શું છે?
રાષ્ટ્રવાદ સાથે સમજૂતી નહિ એ સંદેશ આપવા ઈચ્છે છે મોદી સરકાર
2019 સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા ભાજપનું જમ્મુ કાશ્મીરમાં ગઠબંધનથી અલગ થઈ જવુ ઘણા સંકેત આપે છે. અત્યાર સુધી અમે એવા સમાચાર સાંભળી રહ્યા હતા જેમાં એનડીએના સહયોગી ભાજપનો સાથ છોડી રહ્યા હતા પરંતુ આ પહેલી વાર જ્યારે ભાજપે પોતાના સાથી દળ સાથે સાથે સંબંધ તોડ્યો હોય. સાથી દળોના સતત સાથ છોડવથી ચિંતિત ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેમ લીધો આટલો મોટો નિર્ણય? આનો જવાબ છે - રાષ્ટ્રવાદ. આ જ એ મુદ્દો છે જે ભાજપના નેતૃત્વવાળી મોદી સરકાર માટે સૌથી વધુ મહત્વનો છે. ભાજપનો સંદેશ સ્પષ્ટ છે કે રાષ્ટ્રવાદ સાથે સમજૂતી નહી કરીએ. મહેબૂબા મુફ્તી સરકારથી ભાજપના અલગ થયા બાદ હવે નક્કી છે કે ઘાટીમાં ચાલી રહેલ ઓપરેશન ઓલ આઉટ હવે વધુ ઝડપી બનશે. હવે એ તો નક્કી છે કે કાશ્મીરનો મુદ્દો પૂરેપૂરો ફોકસમાં આવવાનો છે.
હવે સુપરસોનિક ગતિથી ચાલશે ઓપરેશન ઓલ આઉટ
જમ્મુ કાશ્મીરમાં રમજાન મહિનામાં સીઝફાયર દરમિયાન આતંકી હુમલાઓમાં વધારો થયો. ગયા મહિને એટલે કે 17 એપ્રિલથી 17 મે 2018 વચ્ચે રાજ્યમાં 18 આતંકી હુમલા થયા હતા જ્યારે રમજાન મહિનામાં 17 મે થી 17 જૂન 2018 વચ્ચે 66 હુમલા થયા. આમાં 20 ગ્રેનેડ હુમલા થયા હતા. આ ઘટનાઓમાં 41 લોકોએ જીવ ગુમાવ્યો. 2017 માં રમજાન મહિના દરમિયાન માત્ર નવ આતંકી ઘટનાઓ સામે આવી હતી. આ વર્ષે રમજાન પહેલાના ચાર મહિનામાં લગભગ 70 આતંકી માર્યા ગયા હતા. પીડીપી-ભાજપ સરકાર આતંકવાદનો ઉકેલ નહોતી લાવી શકતી એ સ્પષ્ટ હતુ. બીજી તરફ સેનાએ આક્રમક વલણ અપનાવ્યુ છે. જેના કારણે ભાજપ સંદેશ આપવા માંગે છે કે કાશ્મીરમાં આતંકવાદનો સંપૂર્ણ સફાયો માત્ર તે જ કરી શકે છે. સીઝફાયર હટતાં જ સેનાના ઝડપી ઓપરેશન એ વાતનો ઈશારો કરે છે કે ભાજપ કાશ્મીરમાંથી આતંકના સફાયાને હવે મોટો મુદ્દો બનાવવા માંગે છે અને તેને આશા છે કે કાશ્મીરની સફળતાથી રાષ્ટ્રવાદને ઘરે ઘરે પહોંચાડવાનું સરળ બનશે.
કાશ્મીરને નિષ્ફળતા નહિ સફળતાની કહાની બનાવવાની રણનીતિ
રામ માધવ તરફથી સમર્થન પાછુ ખેંચવાના એલાન પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનએસએ અજિત ડોવાલ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠક બાદ અમિત શાહે પીએમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી. આટલી કવાયત કર્યા બાદ ભાજપે સમર્થન પાછુ ખેંચવાનું એલાન કર્યુ હતુ. કાશ્મીરમાં સતત વધી રહેલી આતંકી ઘટનાઓ ભાજપની છબીને નુકશાન પહોચાડી રહી હતી માટે સમર્થન પાછુ ખેંચીને ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તે કાશ્મીરની બીજી કહાની દેશ સામે રાખવા જઈ રહી છે. એ કહાની જેમાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થશે, એ કહાની જેમાં કાશ્મીરને ભાજપની સફળતા તરીકે રજૂ કરવામાં આવશે.