બીરભૂમ હિંસાઃ કોંગ્રેસ બાદ BJPએ પણ કરી રાષ્ટ્રપતિ શાસનની માંગ, જિલ્લામાંથી થવા લાગ્યુ લોકોનુ પલાયન
કોંગ્રેસ પછી ભાજપે પણ મમતા બેનર્જીના રાજીનામા અને રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની ઘટનાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ તેજ થઈ ગઈ છે. ભાજપ સાથે-સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ આ હિંસાની ઘટનાની આકરી નિંદા કરી છે અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તો આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિને મળવાની વાત કરહી છે. કોંગ્રેસ પછી ભાજપે પણ મમતા બેનર્જીના રાજીનામા અને રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે. આ દરમિયાન બીરભૂમ જિલ્લાના લોકોનુ પલાયન શરુ થઈ ગયુ છે.
બીરભૂમથી શરુ થયુ પલાયન
ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ બીરભૂમ જિલ્લાના બાગુટી ગામમાં હવે સન્નાટો ફેલાઈ ગયો છે કારણકે લોકો ડરના કારણે અહીંથી પલાયન કરી રહ્યા છે. હિંસાની આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. લોકોના મનમાં એ ડર છે કે ક્યાંક હિંસા વધી ના જાય, માટે અહીંથી નીકળી જવુ જ સારુ છે. હિંસાની ઘટનાને પોતાની આંખોથી જોનારા લોકોનુ કહેવુ છે કે હવે તેમને અહીં ખૂબ ડર લાગવા લાગ્યો છે અને માટે તે અહીંથી નીકળવા માંગે છે.
રાષ્ટ્રપતિ શાસનની માંગ પર TMCની પ્રતિક્રિયા
બીરભૂમ હિંસાની ઘટનાને લઈને બંગાળના રાજકારણમાં જબરદસ્ત ભૂકંપ આવી ગયો છે. સત્તાધારી ટીએમસી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ તરફથી કરવામાં આવી રહેલ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ પર ટીએમસીની પ્રતિક્રિયા આવી છે. ટીએમસીએ કહ્યુ છે કે આ રાજ્ય સરકારને બદનામ કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે અને ભાજપ રાજ્યમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યુ છે.
હિંસાને લઈને રાજ્ય સરકારે રચી એસઆઈટી
તમને જણાવી દઈએ કે બીરભૂમની ઘટનાને લઈને રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે. વળી, ગૃહ મંત્રાલયે પણ રાજ્ય સરકાર પાસે એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારે મામલાની તપાસ માટે એક એસઆઈટીની રચના કરી છે જે 72 કલાકની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આ ઉપરાંત કેન્દ્રમાંથી ટોચના અમલદારોની એક ટીમને આવનારા દિવસોમાં બંગાળનો પ્રવાસ કરવાની છે. તમને જણાવી દઈએ કે બીરભૂમની ઘટનાને લઈને ભાજપના 9 સાંસદોનુ એક પ્રતિનિધિ મંડળ અમિત શાહને મળ્યુ ત્યારબાદ ગૃહ મંત્રાલયે રિપોર્ટ મંગાવ્યો.
શું થયુ છે બીરભૂમમાં?
તમને જણાવી દઈએ કે બીરભૂમ જિલ્લામાં કથિત રીતે એક ટીએમસી કાર્યકર્તાની હત્યા બાદ હિંસા ભડકી ઉઠી. જિલ્લાના ઘણા ગામોમાં આગની ઘટનાઓ થઈ છે જેમાં 8 લોકોના માર્યા ગયાના સમાચાર છે. આ હિંસાની ઘટનાએ રાજ્યમાં રાજકીય તોફાન ઉભુ કરી દીધુ.