"બાળક મોટું નથી થઇ રહ્યું, ડાઇપરથી બહાર નીકળવા તૈયાર નથી" : ભાજપ નેતા
રાહુલ ગાંધી પર ભાજપના નેતાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી. કહ્યું કોંગ્રેસનું આ બાળક મોટું થવાનું નામ નથી લેતું. જાણો ભાજપના નેતા સિદ્ધાર્થનાથ સિંહનું નિવેદન અહીં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક તરફ જ્યાં ગુજરાતમાં ભાજપ પર એક પછી એક આકાર પ્રહારો કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ લખનઉમાં ભાજપના પ્રવક્તા અને ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે તેમની પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સિદ્ધાર્થનાથ સિંહે મીડિયા સમક્ષ કહ્યું કે કોંગ્રેસનું દુર્ભાગ્ય છે કે તેમનું બાળક મોટું નથી થઇ રહ્યું. તે ડાઇપરથી બહાર નીકળવા જ નથી માંગતું. નોંધનીય છે કે સિદ્ધાર્થનાથ સિંહ મીડિયા સમક્ષ વિપક્ષના આક્ષેપોનો જવાબ આપવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક વેબસાઇટે ભાજપના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે.

આ વાતનો જવાબ આપતી વખતે સિદ્ધાર્થનાથ સિંહે મીડિયા પર સુપારી જર્નાલિઝમનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વેબ મીડિયા હવે પત્રકારત્વ કરવાના બદલે લોકોને બદનામ કરવાનું કામ કરી રહી છે. અને તે તથ્યોને તોડી-મરોડીને લોકોને બદનામ કરી રહી છે. જય શાહના બચાવમાં સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે વિપક્ષ વગર કોઇ કારણે વાતને હવા આપી રહી છે. તેમણે કહ્યું કે રોબર્ટ વાડ્રા વિરુદ્ધ એટલા પેપર છે કે તે પૂરી જિંદગી જેલમાં વિતાવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તેમની મધ્ય ગુજરાતની ત્રણ દિવસની યાત્રાની શરૂઆતમાં જનસભામાં કહ્યું હતું કે ચોકીદારની નાક નીચે લૂંટ ચાલી રહી છે. હવે અમને ખબર પડી કે નોટબંધીથી કોનો વિકાસ થયો છે. તેમણે કહ્યું હતું કે આ નોટબંધી આરબીઆઇ કે ગરીબ કે ખેડૂતોને નહીં પણ શાહના શાસનમાં શાહને ફાયદો થયો છે.












Click it and Unblock the Notifications
