મોદી મુદ્દે ભાજપમાં શરૂ થયું સરવાળા-બાદબાકીનું ગણિત !
દિલ્હીની શ્રી રામ કોમર્સ કોલેજ (એસઆરસીસી)માં નરેન્દ્ર મોદીએ પોતાની છાપ છોડી દિધી છે, તેનાથી ભાજપના કાર્યકર્તામાં જબરજસ્ત ઉત્સાહ છે પરંતુ પાર્ટીના મોટાભાગના નેતા આ મુદ્દે દુવિધામાં છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે પાર્ટીમાં ઔપચારિક રીતે કોઇ વાતચીત થઇ રહી નથી પરંતુ અનૌપચારિક રીતે આ મુદ્દે સઘન મંથન ચાલી રહ્યું છે. પાર્ટીના નેતાઓની મુશ્કેલી એ છે કે રાજકીય મજબૂરીઓના કારણે તેઓ આ મુદ્દે પોતાની વાત સામે મૂકી શકતાં નથી.
નરેન્દ્ર મોદીએ બુધવારે શ્રી રામ કોમર્સ કોલેજ (એસઆરસીસી)માં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમના ભાષણે આ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દિધા હતા પરંતુ મોદી મુદ્દે દેશભરમાં છવાયેલો ઉત્સાહ અને ઉહાપોહ ભાજપના નેતાઓને ઉત્સાહિત તો કરે છે પરંતુ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલ ભૂતકાળ ભાજપને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. દિલ્હીમાં બેસેલા પાર્ટીના નેતાઓનો એક ભાગ છે, જેમને પસંદ નથી કે નરેન્દ્ર મોદી દિલ્હી આવે પરંતુ જે પ્રમાણે પાર્ટી પર કાર્યકર્તાઓનું દબાણ વધી રહ્યું છે, તેના કારણે આ નેતાઓ પણ ખુલીને વિરોધ કરી શકતા નથી. તેમછતાં પાર્ટી પણ દુવિધામાં છે કે નરેન્દ્ર મોદીને શું ભૂમિકા સોંપવી જોઇએ.
ધ્રુવીકરણની ચિંતા
ભાજપની ચિંતા એ છે કે જો કાર્યકર્તાઓના દબાણને વશ થઇ પાર્ટી નરેન્દ્ર મોદી પર એકમત થઇ જાય તો તે પરિસ્થિતિમાં પણ વોટોના ધ્રુવીકરણની ચિંતા રહેશે. જો કે મોદીના આવવાથી હિન્દુ વોટોનું ધ્રુવીકરણ થઇ જાય તો પણ જાતિવાદ પર વોટોની વહેંચણી થવાનો ભય નિર્મૂળ થઇ જતો નથી. બીજી તરફ નરેદ્ર મોદીના આવવાથી જો મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ થઇ જાય તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને મળશે. ત્યારે આવા સમયે પાર્ટી પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે.
તો ભાજપને નરેન્દ્ર મોદીનો ફાયદો થાય
ભાજપના નેતાઓને સ્પષ્ટ થઇ ગયું છે કે જો નરેન્દ્ર મોદીને લાવવામાં આવે છે તો તેનાથી એનડીએના કેટલાક સહયોગીઓ દુર થઇ શકે છે. એવામાં ભાજપના નેતાઓનું માનવું છે કે જો નરેન્દ્ર મોદીને સામે લાવીને પાર્ટી દેશભરમાં લોકસભાની 200થી વધુ જીતે છે તો નરેન્દ્ર મોદીનો ફાયદો થશે. આવા સમયે જો જેડીયૂ નારાજ થાય છે તો પણ નાના-નાના દળોની મદદ મળશે અને તે સત્તામાં આવી શકે છે. પરંતુ જો નરેન્દ્ર મોદીના આવવા છતાં આટલી સીટો ન આવે તો આવી સ્થિતીમાં ભાજપ માટે ખતરનાક સાબિત થઇ જશે.