બારાબંકીમાં 35 મુસાફરોથી ભરેલી નાવ પલટી, 3 મૃતદેહો મળ્યા
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. બારાબંકીમાં સુમલી નદી પાર કરતી નાવ પલટી ગઇ હતી, જેમાં 35 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 3 બાળકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. બારાબંકીમાં સુમલી નદી પાર કરતી નાવ પલટી ગઇ હતી, જેમાં 35 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 3 બાળકોના મોત થયા છે. આ નાવ પલટી જતા મોટાભાગના લોકો તરીને કિનારે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાવમાં ક્ષમતા કરતા વધુ લોકો હોવાને કારણે નાવ પલટી ગઇ હતી. આ ઘટના મોહમ્મદપુર ખાલા સ્ટેશન વિસ્તારમાં આવેલા બૈરાના મઉ મઝારી ગામની સુમલી નદી પર ઘટી છે.
બોટમાં સવાર 35 લોકો નદી પાર કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ બોટમાં મોટી સંખ્યામાં લોકો હોવાને કારણે અચાનક બોટનું સંતુલન ખોરવાઈ ગયું અને હોડી પલટી ગઈ હતી. બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ બચાવ કાર્ય હજૂ ચાલુ છે.
સ્થાનિક ડાઇવર્સે જણાવ્યું હતું કે, અમે સતત ડાઇવિંગ કરી રહ્યા છીએ, 6 રાઉન્ડમાં અત્યાર સુધીમાં 5 બાળકો બહાર આવ્યા છે, પરંતુ હજુ પણ એવું લાગે છે કે 2-4 બાળકો બાકી છે. દર વર્ષે અહીંયા પરવાનગી સાથે મેળો ભરાય છે. અહીં આવો અકસ્માત પહેલીવાર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિક ડાઈવર્સ એક કિશોરને નદીમાંથી બહાર કાઢતા જોવા મળે છે.