વરસાદથી વધ્યુ ગંગાનુ જળસ્તર, રેતીમાં દફનાવેલા શબ ફરીથી આવવા લાગ્યા બહાર
પ્રશાસન સામે એક વાર ફરીથી રેતીમાં દફનાવેલા શબોની સમસ્યા સામે ઝઝૂમવાની સ્થિતિ આવી છે.
પ્રયાગરાજઃ પહાડી વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશની નદીઓએ પ્રશાસન સામે નવો પડકાર ઉભો કરી દીધો છે. વળી, સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા નદીના વધતા જળ સ્તરે પ્રશાસને સામે નવો પડકાર ઉભો કર્યો છે. વાસ્તવમાં પ્રશાસન સામે એક વાર ફરીથી રેતીમાં દફનાવેલા શબોની સમસ્યા સામે ઝઝૂમવાની સ્થિતિ આવી છે. ગુરુવારે ફાફામઉ ઘાટ ઉપર રેતીના દફનાવેલા વધુ 22 શબ ગંગામાં વહેતા પહેલા રોકી લેવામાં આવ્યા. પ્રશાસને મોડી રાત સુધી આ ઘાટ પર લાવારિસ શબોના અંતિમ સંસ્કાર કરાવ્યા. તમને જણાવી દઈએ કે આ ઘાટ પર 92 લાવારિસ શબોના અંતિમ સંસ્કાર કરાવવામાં આવી ચૂક્યા છે.
શબોને બહાર કાઢતા જોઈ શકાય છે
સમાચાર મુજબ પ્રયાગરાજના વિવિધ ઘાટો પર છેલ્લા બે દિવસોમાં સ્થાનિક પત્રકારો દ્વારા મોબાઈલથી પાડેલા ફોટા અને વીડિયોમાં નગર નિગમની ટીમોને શબોને બહાર કાઢતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે ફાફામઉ ઘાટ પર ગુરુવારની સવારે છ વાગ્યાથી જ શબોને બહાર કાઢવાનો સિલસિલો શરૂ થઈ ગયો. ઘાટ પર નિરીક્ષણ માટે મૂકેલા મજૂરોએ બપોરે 12 વાગ્યા સુધી 13 શબ બહાર કાઢ્યા. આ શબોના અંતિમ સંસ્કાર કરાવવાાં આવ્યા ત્યાં સુધી બીજા શબો બહાર આવવાની માહિતી મળવા લાગી. રાતે આઠ વાગ્યા સુધી બીજા 22 શબ રેતીમાંથી કાઢવામાં આવ્યા.
શબના મોઢામાં દેખાઈ ઑક્સિજન ટ્યૂબ
પ્રયાગરાજ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઝોનલ ઑફિસર નીરજ સિંહે મીડિયાને જણાવ્યુ કે તે છેલ્લા 24 કલાકમાં 40 શબોના અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા છે. તેમણે જણાવ્યુ, 'અમે પૂરા અનુષ્ઠાનો અને વિધિ-વિધાન સાથે શબોના અંતિમ સંસ્કાર કરાવી રહ્યા છે.' એક મૃત વ્યક્તિના શબના મોઢામાં ઑક્સિજન ટ્યૂબ દેખાઈ હોવા અંગેના સવાલ પર તેમણે માન્યુ કે એવુ લાગે છે કે મોત પહેલા આ વ્યક્તિ બિમાર હશે. તેમણે કહ્યુ, 'તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ બિમાર હતો અને પરિવાર વ્યક્તિને અહીં છોડી ગયો. સંભવતઃ એ લોકો ડરી ગયા હશે.'
હજુ વધુ શબ બહાર આવવાની સંભાવના
પ્રયાગરાજ મેયર અભિલાષા ગુપ્તા નંદીએ મીડિયાને જણાવ્યુ કે ઘણા સમાજોમાં શબોને દફનાવવાની પરંપરા છે. જ્યાં માટીમાં શબ ડિકમ્પોઝ(વિઘટિત) થઈ જાય છે, તે રેતીમાં નથી થઈ શકતા. તેમણે કહ્યુ, 'અમને જ્યાં પણ શબ મળી રહ્યા છે, અમે તેમના અંતિમ સંસ્કાર કરાવી રહ્યા છે.' વળી, ઝોનલ અધિકારી નીરજ કુમાર સિંહે જણાવ્યુ કે અંતિમ સંસ્કાર બાદ રાતે ફાફામઉ ઘાટ પર નિરીક્ષણ વધારી દેવામાં આવ્યુ છે. એક પણ શબ ગંગામાં વહી ન શકે તેના માટે છ લોકોને આખી રાત ઘાટ પર નિરીક્ષણ કરવા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. નિગમના અધિકારીઓનુ કહેવુ છે કે ઘાટ પરની સ્થિતિને જોતા હજુ વધુ શબ બહાર આવવાની સંભાવના છે.