Breaking: લખીમપુર ખીરીમાં બસ અને ટ્રક સામ-સામે ટકરાતા 8 લોકોના મોત, સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં બુધવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં બુધવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવા અને ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જઈને યોગ્ય સારવાર આપવાનો આદેશ આપ્યો છે.

લખીમપુર ખેરી જિલ્લાના ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ શારદા નદીના પુલ પર આજે સવારે આ દર્દનાક અકસ્માત થયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે લગભગ 50 મુસાફરોને લઈને એક ખાનગી બસ ધૌરહરાથી લખીમપુર આવી રહી હતી. ત્યાર બાદ તે શારદા નદીના પુલ પર લખીમપુર બાજુથી બહરાઈચ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા.
લખીમપુર ખેરીના એડીએમ સંજય કુમાર સિંહે જણાવ્યુ કે આ અકસ્માતમાં ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 25થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વળી, અકસ્માતની જાણ થતા પહોંચેલી પોલીસે તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. લખીમપુર ખેરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કરતા સીએમ યોગી આદિત્યનાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવા અને ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાનો અને તેમની યોગ્ય સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
