Budget 2023: સરકારના બજેટ પર શું બોલ્યા રાહુલ ગાંંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓ
દેશનુ સામાન્ય બજેટ 2023 આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યુ. જેના પર રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓની પ્રતિક્રિયા આવી છે.
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે બુધવારે(1 ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યુ. જેના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરીને તેને 'મિત્ર કાળ'નુ ગણાવ્યુ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે, 'મિત્ર કાળ બજેટમાં નોકરીઓ પેદા કરવા માટે કોઈ વિઝન નથી, મોંઘવારીના ઉકેલ માટે કોઈ યોજના નથી, અસમાનતા દૂર કરવા માટે કોઈ ઈરાદો નથી.'
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં આગળ લખ્યુ, '1% સૌથી ધનિક પોતાની 40% સંપત્તિના માલિક છે, 50% સૌથી ગરીબ 64% જીએસટી ચૂકવે છે, 42% યુવા બેરોજગાર- છતાં પણ PMને કોઈ પરવા નથી. આ બજેટ સાબિત કરે છે કે સરકાર પાસે ભારતના ભવિષ્યના નિર્માણ માટે કોઈ રોડમેપ નથી.'
‘Mitr Kaal’ Budget has:
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023
NO vision to create Jobs
NO plan to tackle Mehngai
NO intent to stem Inequality
1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care!
This Budget proves Govt has NO roadmap to build India’s future.
કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પણ આ બજેટને નિરાશાજનક ગણાવ્યુ હતુ. બજેટ 2023 પરની તેમની પ્રથમ પ્રતિક્રિયામાં તેમણે કહ્યુ કે ગરીબ અને અમીર વચ્ચેની વધતી જતી ખીણ સાથે સરકારને કોઈ લેવાદેવા નથી. પી ચિદમ્બરમે કહ્યુ કે નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણથી સ્પષ્ટ થઈ ગયુ છે કે સરકારને જનતામાં અમીર અને ગરીબ વચ્ચે વધતી અસમાનતાની પરવા નથી.
કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ બજેટની ટીકા કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કર્યુ હતુ કે ગયા વર્ષના બજેટમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મનરેગા અને અનુસૂચિત જાતિઓ માટે કલ્યાણ સંબંધિત ફાળવણી માટે પ્રશંસા મેળવી હતી. આજે વાસ્તવિકતા સર્વવિદિત છે. વાસ્તવિક ખર્ચ બજેટ કરતા ઘણો ઓછો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારનુ બજેટ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સતત ઘટી રહેલા લોકોના વિશ્વાસનો પુરાવો છે અને માત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે કેન્દ્રીય બજેટ 2023માં મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના સંદર્ભમાં ઉકેલ શોધવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.