Budget 2023: મમતા બેનર્જીએ કહ્યુ - આ જનવિરોધી અને ગરીબ વિરોધી બજેટ
દેશમાં આજે સંસદમાં રજૂ થયેલા સામાન્ય બજેટ 2023 પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપીને બજેટને જન અને ગરીબ વિરોધી ગણાવ્યુ છે.
Mamata Banerjee on Budget 2023: દેશનુ સામાન્ય બજેટ 2023 આજે(1 ફેબ્રુઆરી) સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યુ. બજેટ રજૂ થયા બાદ વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, પી. ચિદમ્બરમ, જયરામ રમેશ સાથે હવે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ આને ગરીબ અને જન વિરોધી બજેટ ગણાવ્યુ છે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેમના નિવેદનમાં કહ્યુ કે આ ગરીબ વિરોધી બજેટ છે અને ભવિષ્યવાદી નથી. આ સંપૂર્ણપણે તકવાદી બજેટ છે. આકાશને આંબતી મોંઘવારી વચ્ચે આવકવેરામાં મુક્તિનો શું ફાયદો છે? બજેટમાં બેરોજગારો માટે કોઈ દરખાસ્ત નથી.
મમતા બેનર્જીએ બુધવારે બીરભૂમ જિલ્લાના બોલપુર ખાતે એક સરકારી સમારોહને સંબોધતા કહ્યુ કે કેન્દ્રીય બજેટ જનવિરોધી છે અને આમાં ગરીબોનુ ધ્યાન રાખવામાં આવ્યુ નથી. તેમણે કહ્યુ, 'આ કેન્દ્રીય બજેટ ભવિષ્યવાદી નથી, સંપૂર્ણપણે તકવાદી છે, જન વિરોધી અને ગરીબ વિરોધી છે. જેનો લાભ એક વર્ગના લોકોને જ મળશે. આ બજેટ દેશમાં બેરોજગારીનો મુદ્દો ઉકેલવામાં મદદ કરી શકશે નહિ.
અગાઉ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યુ હતુ કે, 'આ બજેટથી કોને ફાયદો થયો છે? ચોક્કસપણે ગરીબોને નહિ, નોકરી શોધી રહેલા યુવાનોને નહિ, નોકરીમાંથી કાઢી મૂકેલા યુવાનોને નહિ, કરદાતાને નહિ અને ગૃહિણીને પણ નહિ. નાણામંત્રીએ તેમના ભાષણમાં ક્યાંય પણ બેરોજગારી, ગરીબી, અસમાનતા કે સમાનતા જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો નથી. બજેટ દર્શાવે છે કે સરકાર લોકોની આજીવિકા, તેમની ચિંતાઓ, અમીર અને ગરીબ વચ્ચેની વધતી જતી અસમાનતા પ્રત્યે ધ્યાન આપતી નથી.'