મોદી કેબિનેટનો નિર્ણય, કંડલા પોર્ટ હવે કહેવાશે દીનદયાળ પોર્ટ
મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ગુજરાતના કંડલા બંદરનું નામ બદલીને દીનદયાળ બંદર કવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોદી કેબિનેટે મોટો નિર્ણય લેતાં ગુજરાતના કંડલા બંદરનું નામ બદલ્યું છે. આ બંદરનું નવું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ પર રાખવામાં આવ્યું છે. હવે કંડલા બંદર દીનદયળ બંદરના નામે ઓળખાશે. નોંધનીય છે કે, ગુજરાતના 40 બંદરોમાંના એક કંડલા બંદરનું નામ બદલવા માટે શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા આ અંગેનો એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. મંત્રાલયના આદેશ અનુસાર, કેન્દ્ર સરકારે ભારતીય પોર્ટ અધિનિયમ-1908 અંતર્ગત પ્રાપ્ત શક્તિઓને આધારે કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કર્યું છે. બંદરનું નવું નામ તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મે માસમાં કંડલા બંદર પર વિવિધ યોજનાઓનો શુભારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું હતું કે, કંડલા પોર્ટનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કર્વું જોઇએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી સમારંભના સમાપન પ્રસંગે શિપિંગ મિનિસ્ટ્રીએ કંટલા બંદરના નામકરણ સંબંધિત આદેશ જાહેર કર્યો હતો. આ સિવાય કેબિનેટમાં ભારત અને લિથુઆનિયા વચ્ચેની પ્રત્યર્પણ સંધિ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેબિનેટ બેઠકમાં ભારત અને લિથુઆનિયા વચ્ચેની પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કરી મંજૂરી સાથે મ્યાનમારના યામેથિનમાં મહિલાઓને પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રના અપગ્રેડેશનને ભારત અને મ્યાનમારના સમજણ પત્રક(એમઓયુ)ને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે.