Modi Cabinet: નિશંક, હર્ષવર્ધન, ગંગાવર સહિત આ મંત્રીઓની હકાલપટ્ટી
Modi Cabinet: નિશંક, હર્ષવર્ધન, ગંગાવર સહિત આ મંત્રીઓની હકાલપટ્ટી
આજે મોદી કેબિનેટનું વિસ્તરણ થનાર છે. આ વિસ્તરણ પહેલાં કેટલાક મંત્રીઓની છૂટ્ટી કરી દેવામાં આવી છે. ડૉ હર્ષવર્ધન, બાબુલ સુપ્રિયો, રમેશ પોખરિયાલ નિશંક, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડા, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગાવર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીને રાજીનામું આપવા કહી દેવાયું છે. આ મંત્રીઓના રાજીનામા પાછળ શું કહાની છે, આવો જાણીએ...
કેબિનેટ વિસ્તરણ પહેલાં થાવર ચંદ ગહલોતને મંત્રિમંડળથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
થાવરચંદ બાદ આ મંત્રીઓ પાસેથી રાજીનામાં માંગ્યાં
ડૉ હર્ષવર્ધનઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને રાજીનામું આપી દીધું છે. કોરોનાની બીજી લહેરમાં મોદી સરકાર જેવી રીતે સવાલોના ઘેરામાં આવી હતી, તેની કિંમત ડૉ હર્ષવર્ધને ચૂકવવી પડી છે. હર્ષવર્ધન પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પણ હતું. એટલે કે હર્ષવર્ધનના રાજીનામાથી મોટાં બે મંત્રાલય ખાલી થઈ ગયાં છે.
બાબુલ સુપ્રિયોઃ પશ્ચિમ બંગાળની આસનસોલ સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજીનામું આપી દીધું છે. તેઓ પર્યાવરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતાં. બાબુલ સુપ્રિયો પાર્ટીથી નારાજ હતા તેવું જણાવાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પણ બાબુલ સુપ્રિયો મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ 50 હજાર વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રાવ સાહેબ દાનવે પાટિલઃ મહારાષ્ટ્રની જલના લોકસભા સીટથી સાંસદ રાવ સાહેબ દાનવે પાટિલે પણ રાજીનામું આપી દીધું છે. તેઓ ગ્રાહક મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા.
દેબોશ્રી ચૌધરીઃ પશ્ચિમ બંગાળની રાયગંજ લોકસભા સીટથી ભાજપી સાંસદ દેબોશ્રી ચૌધરીને રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને પશ્ચિમ બંગાળ ભાજપમાં મહત્વનું પદ આપવામાં આવી શકે છે.
રમેશ પોખરિયાલ નિશંકઃ ઉત્તરાખંડના હરિદ્વારથી સાંસદ રમેશ પોખરિયાલ નિશંકને પણ રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી હતા. ગત દિવસોમાં રમેશ પોખરિયાલ નિશંકને કોરોના થઈ ગયો હતો અને તેઓ એક મહિના સુધી એડમિટ હતા. ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી તેમણે રાજીનામું આપ્યું છે.
સદાનંદ ગૌડાઃ કર્ણાટકના બેંગ્લોર નોર્થથી ભાજપના સાંસદ સદાનંદ ગૌડાને રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ રસાયણ અને ખાતર વિભાગના મંત્રી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કોરોનાકાળમાં દવાઓની કિંમતને લઈ મોદી સરકારની જે ફજેતી થઈ હતી, તેને કારણે સદાનંદ ગૌડાએ રાજીનામું આપવું પડ્યું છે.
સંતોષ ગંગવારઃ ઉત્તર પ્રદેશના બરેલીથી સાંસદ સંતોષ ગંગવારને પણ રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ શ્રમ અને રોજગાર મંત્રી હતા. કોરોના કાળ દરમિયાન સંતોષ ગંગવારની એક ચિઠ્ઠી ખુબ વાયરલ થઈ હતી, જેમાં તેમણે યુપી સરકારની ટીકા કરી હતી. તેમની જગ્યાએ લખીમપુર ખીરીથી સાંસદ અજય મિશ્રાને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
સંજય ધોત્રેઃ મહારાષ્ટ્રની અકોલા લોકસભા સીટથી સાંસદ સંજય ધોત્રેને પણ રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ શિક્ષણની સાથે જ માહિતી અને ટેક્નોલોજી મંત્રાલયના રાજ્યમંત્રી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સંજય ધોત્રેના કામથી પીએમ મોદી ખુશ નહોતા. તેમને સંગઠનમાં એડજસ્ટ કરવામાં આવી શકે છે.
રતન લાલ કટારિયાઃ હરિયાણાના અંબાલાથી સાંસદ રતન લાલ કટારિયાને પણ રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ જળ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. તેમની જગ્યાએ સિરસાથી સાંસદ સુનીતા દુગ્ગલને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
પ્રતાપ સારંગીઃ ઓરિસ્સાના બાલાસોરથી સાંસદ પ્રતાપ સારંગીને પણ રાજીનામું આપવા કહી દેવાયું છે. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમની સાથે પશુપાલન, ડેરી અને મત્સ પાલન મંત્રાલયના રાજ્યમંત્રી હતા.