પીએમ મોદીના નવા મિત્રોને મળો, કોને કયુ મંત્રાલય મળ્યું?
પીએમ મોદીના નવા મિત્રોને મળો, કોને કયુ મંત્રાલય મળ્યું?
મોદી સરકારના મંત્રિમંડળનું બુધવારે વિસ્તરણ થઈ ચૂક્યું છે. પીએમ મોદીએ પોતાની ટીમમાં કુલ 43 નવા મંત્રીઓને સામેલ કર્યા છે. અલગ અલગ રાજ્યોથી આવતા આ ચહેરાઓને આગળ લાવવામાં આવ્યા છે. વિભાગોની વહેંચણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સહકારિતા મંત્રાલયનો એડિશનલ પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે મનસુખ માંડવિયાને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કાલે મંત્રીપદના શપથ લધા હતા, તેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે હરદીપ સિંહ પુરીને પેટ્રોલિયમ અને શહેરી વિકાસ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અર્જુન મુંડા જનજાતીય મામલાના મંત્રી છે. કિરણ રિજિજૂને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડના નૈનીતાલથી સાંસદ અજય ભટ્ટને રક્ષા અને પર્યટન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
અશ્વિની વૈષ્ણવને રેલ અને આઈટી મંત્રી બનાવવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવી છે. પીયૂષ ગોયલને કાપડ અને ખાદ્ય અને ગ્રાહક મામલાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ અને કૌશલ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
મીનાક્ષી લેખીને વિદેશ મંત્રાલય અને સંસ્કતિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પુરુષોત્તમ રુપાલાને ડેરી અને મત્સ્ય પાલનની જવાબદારી સોંપવામાં આવી છે. અનુરાગ ઠાકુરને રમત ગમત મંત્રી બનાવવામાં આવ્યા છે, ઉપરાંત સૂચના અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી પણ આપવામાં આવી છે. ગિરિરાજ સિંહને ગ્રામીણ વિકાસ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. એલજેપી નેતા પશુપતિ નાથ પારસને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ અને શ્રમ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
અનુપ્રિયા પટેલને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. નિત્યાનંદ રાયને ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. એસપી સિંહ બઘેલને કાનૂન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શાંતનુ ઠાકુરને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.