કેપ્ટનની કોંગ્રેસમાંથી સત્તાવાર એક્ઝિટ, નવી પાર્ટીના નામની જાહેરાત કરી!
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટી છોડવાની ઔપચારિક જાહેરાત કરી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
ચંદીગઢ, 02 નવેમ્બર : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટી છોડવાની ઔપચારિક જાહેરાત કરી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. કેપ્ટન અમરિંદરે પોતાના રાજીનામામાં લખ્યું છે કે કોંગ્રેસ સાથેની મારી 40 વર્ષની રાજકીય સફર આજે પૂરી થઈ ગઈ છે. પોતાના રાજીનામામાં કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે એક દિવસ કોંગ્રેસ હાઈકમાન્ડને આ નિર્ણય પર ઘણો પસ્તાવો થશે.
પોતાના રાજીનામાની સાથે કેપ્ટન અમરિંદર સિંહે એક નવી પાર્ટીની પણ જાહેરાત કરી છે, જેને તેમણે પંજાબ લોક કોંગ્રેસ નામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, કેપ્ટને સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને પોતાની નવી પાર્ટી બનાવશે. કેપ્ટન અમરિંદરે બે મહિના પહેલા પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. સિદ્ધુ સાથેના વિવાદને કારણે તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપ્યુ હતું.
Punjab Lok Congress is the name of former CM Captain Amarinder Singh's new party, he announces pic.twitter.com/6jnzCj7s5y
— ANI (@ANI) November 2, 2021
સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહ દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા, જે બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ તેમણે ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી હતી, પરંતુ હવે એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે કેપ્ટન પોતાની પાર્ટીને ભાજપની સાથી પાર્ટી બનાવી શકે છ. જો કે હાલ ખેડૂતોના આંદોલનને લઈને કેપ્ટન અને ભાજપ વચ્ચે મતભેદો છે, જેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે અને જો આ મામલો ઉકેલાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કેપ્ટનનો પક્ષ એકસાથે જોવા મળી શકે છે.