NDTVના માલિક પ્રણવ રૉયના ઘરે CBIના દરોડા
એનડીટીવીના સહ-સંસ્થાપક પ્રણવ રૉયના ઘરે સીબીઆઇ દ્વારા છાપો મારવામાં આવ્યો છે, તેમની વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે.
એનડીટીવીના ફાઉન્ડર અને એક્ઝેક્યૂટિવ કો-ચેરપર્સન પ્રણવ રૉયના ઘરે સીબીઆઇ એ દરોડા પાડ્યા છે. પ્રણવ રૉય અને તેમના પત્ની સહિત અન્ય લોકો પર બેંક સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે. સીબીઆઇ દ્વારા આ મામલે પ્રણવ રૉય અને તેમની પત્ની વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધવામાં આવી છે.
કેન્દ્રિય તપાસ એજન્સિ સીબીઆઇની ટીમે સોમવારની સવારે એનડીટીવી ન્યૂઝ ચેનલના પ્રમોટર પ્રણવ રૉયના ગ્રેટર કૈલાશ-1 સ્થિત ઘર પર છાપો માર્યો હતો. પ્રણવ રૉય પર ફંડ ડાયવર્ઝન અને બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
ન્યૂઝ એજન્સિ એએનઆઇની ખબરો અનુસાર, દિલ્હી અને દેહરાદૂનમાં 4 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, પ્રણવ રૉય, રાધિકા રૉય તથા અન્ય લોકો પર બેંક સાથે છેતરપિંડી અને ગેરકાયદેસર રીતે પૈસાની હેરફેર કરવાનો આરોપ છે. દેહરાદૂનના પ્રણવ રૉયના ઘરના કેર ટેકર્સના જણાવ્યા અનુસાર, સીબીઆઇના 5-6 લોકોએ ઘરમાં આવી તપાસ હાથ ધરી હતી.
દરોડા બાદ એનડીટીવીની પ્રતિક્રિયા
'આજે સવારે એનડીટીવી અને તેમના પ્રમોટરોને હેરાન કરવાના હેતુસર એ જ જૂના અને ખોટા આરોપો હેઠળ તેમના ઘરે સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એનડીટીવી અને તેના પ્રમોટરો આવા દરોડાથી ડરશે નહીં, અમે આની વિરુદ્ધ લડીશું. ભારતની સંસ્થાનો વિનાશ નોતરવા ઇચ્છતા લોકોને અમારો સંદેશ છે, અમે અમારા દેશને આવી શક્તિઓથી બચાવવાનો પૂરો પ્રયત્ન કરીશું.'
આ પહેલાં ઇડી(Enforcement Directorate)એ ફેમા(FEMA)ની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ એનડીટીવી વિરુદ્ધ 2030 કરોડ રૂપિયાની નોટિસ જાહેર કરી હતી. ઇડીની આ નોટિસ પ્રણવ રૉય, રાધિકા રૉય અને સીનિયર એક્ઝિક્યૂટિવ કેવીએલ નારાયલ રાવ વિરુદ્ધ જાહેર કરવામાં આવી હતી. પ્રણવ રૉય પર ફંડ ડાયવર્ઝન અને બેંક સાથે છેતરપિંડીનો આરોપ છે.
પ્રણવ રોયના ઘરે દરોડા બાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કાયદાનો ડર જરૂરી છે. કાયદો સૌ પર લાગુ થવો જોઇએ, પછી તે ભલે કોઇ સામાન્ય વ્યક્તિ હોય કે મોટી હસ્તી.
કોંગ્રેસ નેતા ઑસ્કર ફર્નાન્ડિસે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તમે(મીડિયા) જાણો જ છો કે, દેશમાં શું ચાલી રહ્યું છે. તમે જ નિર્ણય લો કે હવે શું કરવાનું છે.