ચંદ્રબાબુ નાયડુએ બોલાવી આપાત બેઠક, છોડી શકે છે ભાજપનો સાથ
આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડૂ અને તેમની પાર્ટી ટીડીપી, ભાજપ સાથે તેનું ગઠબંધન તોડી શકે છે. ત્યારે તેવું તો શું બન્યું કે શિવસેના પછી ટીડીપી પણ ભાજપનો સાથ છોડી રહી છે?
2019ની લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. પહેલા તો એનડીએની જૂની સહયોગી શિવસેનાએ અલગ ચૂંટણી લડવાની વાત કહીને તેની સાથે છેડો ફાડ્યો. અને હવે ટીડીપી એટલે કે ચંદ્રાબાબુ નાયડૂની પાર્ટી પણ અલગ થવા માટે મન બનાવી ચૂકી છે તેમ લાગે છે. ટીડીપીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ એનડીએ સરકારથી અલગ થવાનું મન બનાવ્યું છે. અને આ મામલે જ તે આજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો સાથે બેઠક કરશે. અને તે પછી આ અંગે અધિકૃત જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે આજની ટીડીપીની આપાત કાલીન બેઠક અમરાવતીમાં બોલવવામાં આવી છે. મુખ્યમંકત્રીની આપાત કાલીન બેઠક, બજેટ પછી આંધ્રને કંઇ ખાસ ન મળવાના ગુસ્સાના કારણે બોલવવામાં આવી છે તેમ મનાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં યુનિયન બજેટ 2018ને નાણાં મંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને આ બજેટમાં આંધ્ર પ્રદેશના ભાગમાં કોઇ ખાસ નવા પ્રોજેક્ટ કે યોજનાઓ હાથ નહતી લાગી. જેના કારણે નાયડૂ નાખુશ છે.

અને બજેટના રાજસ્વમાં પોતાના પ્રદેશને કંઇ ના મળતા તેણે ભાજપ સાથે ગઠબંધન પર જ પૂર્ણ વિરામ મૂકવાનું મન બનાવી લીધું છે. વધુમાં ટીડીપીના એક વરિષ્ઠ નેતાઓ જણાવ્યું કે આંધ્ર પ્રદેશની મહત્વની માંગણીઓને બજેટમાં ભાજપ સરકારે સ્થાન નથી આપ્યું. જેના કારણે અમને કિનારે કરવામાં આવ્યા હોય તેમ લાગે છે. સાથે સુત્રોથી માનીએ તો થોડા સમયથી ટીડીપી અને ભાજપ વચ્ચે પહેલા જેવા સુમેળ સંબંધો નથી રહ્યા તેમ પણ જાણવા મળ્યું છે. આ બધા કારણો સાથે જ આવનારા સમયમાં શિવસેનાની જેમ ટીડીપી પણ હવે ભાજપને "આવજો" ના કહી દે તો નવાઇ નહીં. વધુમાં સંભાવના તે પણ છે કે ટીડીપી છેલ્લી વખત ભાજપ સામે કેટલીક શરતો મૂકી શકે છે. જો ભાજપ તેને નામંજૂર રાખશે તો આ ગઠબંધન તૂટી જશે. અને પાર્ટીના સાંસદ લોકસભામાંથી પણ રાજીનામાં આપી દે તેવી વાત પણ બની શકે છે. આમ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની એક પછી એક મુશ્કેલીઓ ચારે બાજુથી વધી રહી છે તેમ સ્પષ્ટ દેખાય છે.












Click it and Unblock the Notifications
