ચીન મુદ્દે રાજ્યસભામાં બબાલ, ચર્ચાની માંગ સાથે વિપક્ષનું વોકઆઉટ
વિપક્ષે રાજ્યસભામાં ચીન મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. માંગ ન માનવામાં આવતા વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યુ છે.
નવી દિલ્હી : ચીન મુદ્દે કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ મામલો સંસદમાં ગુજ્યો છે. વિપક્ષે રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી હતી. માંગ પુરી ન થતા વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યુ છે.
વિપક્ષના વોકઆઉટ પર કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ નિયમોને પણ અણદેખા કરી રહી છે. જ્યારે યુપીએ સત્તામાં હતી ત્યારે પણ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થતી નહોતી. એક તરફ સરહદ પર સેના મક્કમ બનીને ઉભી છે તો બીજી તરફ રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ચીન આપણી જમીન પર કબજો જમાવી રહ્યું છે. જો આ મુદ્દાની ચર્ચા નહીં કરીએ તો પછી આપણે બીજી શું ચર્ચા કરીશું? અમે આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ.
હાલમાં જ ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી ત્યારે વિપક્ષે રાજ્યસભામાં ચર્ચા માટે નોટીસ આપી હતી. આ નોટીસનો અસ્વીકાર કરાતા વિપક્ષે વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઓફ બિઝનેસની નોટિસ આપી હતી.
રાહુલ ગાંધી પણ આ મુદ્દે સતત વિપક્ષને ઘેરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને આપણી સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરી રહી છે. રાહુલ ગાંધીએ મોટો દાવો કરતા કહ્યું હતું કે, ચીને 2 હજાર કીમી ભારતની જમીન પર કબ્જો કર્યો છે.