ચેક બાઉન્સ મામલોઃ અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની સજા
ચેક બાઉન્સ મામલે અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી છે.
ચેક બાઉન્સ મામલે અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની કરકરડૂમા કોર્ટે રાજપાલ યાદવને આ સજા સંભળાવી. 13 એપ્રિલના રોજ રાજપાલ યાદવની સાથે તેની પત્નીને પણ કોર્ટે દોષિત ઠેરવી હતી. હવે સજાનું એલાન કરતી વખતે કોર્ટે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવી છે. જો કે બાદમાં તેને જામીન મળી ગયા.
સમગ્ર મામલો વર્ષ 2010 નો છે જ્યારે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ અતા પતા લાપતા માટે 5 કરોડની લોન લીધી હતી, પરંતુ તેણે આ લોન પાછી આપવા માટે જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થઈ ગયા હતા. આ મામલે દિલ્હીની કોર્ટે 13 એપ્રિલે બોલીવુડ અભિનેતાને દોષિત જાહેર કર્યો હતો. આજે કોર્ટમાં સજા પર ચર્ચા બાદ રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે દિલ્હી કરકરડૂમા કોર્ટે રાજપાલ યાદવ અને તેની પત્નીને ચેક બાઉન્સ સહિત 7 મામલામાં દોષિત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવે અતા પતા લાપતા નામની એક ફિલ્મ બનાવી હતી, જેના માટે તેણે 5 કરોડ રુપિયા દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી લીધા હતા.
આ છે સમગ્ર મામલો
આરોપ છે કે રાજપાલે વચન આપ્યુ હતુ કે ફિલ્મ રિલીઝ થયા પછી બધા પૈસા પાછા આપી દેશે, પરંતુ રાજપાલ યાદવની ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ તેમછતાં રાજપાલ યાદવે રકમ પાછી આપી નહિ. આ જ કારણસર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. કોર્ટે રાજપાલ યાદવને ઘણી નોટિસો પણ મોકલી પરંતુ રાજપાલ યાદવ કોર્ટ પહોંચ્યા નહિ. આ મામલે અદાલતે રાજપાલ યાદવને વર્ષ 2013 માં 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં પણ મોકલ્યા હતા. અહેવાલો મુજબ દિલ્હીના લક્ષ્મીનગર સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રાજપાલ યાદવ અને અન્ય સામે ચેક બાઉન્સ સહિત સાત અલગ-અલગ ફરિયાદો કરી હતી.