બ્રાહ્મણો પર ટીપ્પણી બાદ છત્તીસગઢના CM બઘેલના પિતાની ધરપકડ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત ભડકાઉ અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ નંદ કુમાર બઘેલને રાયપુરની કોર્ટમાં રજૂ કરાયા હતા.
રાયપુર : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત ભડકાઉ અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધરપકડ બાદ નંદ કુમાર બઘેલને રાયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે તેમને 15 દિવસની ન્યાયિક કસ્ટડિમાં નોકલ્યા છે.
પિતાની ધરપકડ પર છત્તસગઢ સીએમ ભૂપેશ બઘેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ભૂતકાળમાં FIR નોંધાયા બાદ તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, પછી ભલે તે મારા પિતા જ કેમ ન હોય.
બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી કરતા 86 વર્ષીય નંદ કુમાર બઘેલે કહ્યું હતું કે, 'હું ભારતના તમામ ગ્રામજનોને વિનંતી કરું છું કે, તેઓ બ્રાહ્મણોને તેમના ગામમાં પ્રવેશવા ન દે. હું અન્ય સમુદાયો સાથે પણ વાત કરીશ જેથી તેઓ બ્રાહ્મણોનો બહિષ્કાર કરી શકે. તેમને વોલ્ગા નદીના કાંઠે પાછા મોકલવાની જરૂર છે. તેમના આ નિવેદનથી સવર્ણ સમુદાય ખૂબ જ રોષે ભરાયો હતો, ત્યારબાદ ડીડી નગર પોલીસ સ્ટેશનમાં નંદ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા સામે છત્તીસગઢ પોલીસે કલમ 153-એ (જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને 505 (1) (બી) (તણાવ વધારવાનો ઈરાદો) હેઠળ કેસ નોંધ્યો છે. પિતાના નિવેદન પર મુખ્યમંત્રી બઘેલે કહ્યું હતું કે, પિતા હોવાને કારણે, હું તેમનું સન્માન કરું છું, પરંતુ મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારી છે કે, સમાજના તમામ વર્ગોમાં સંવાદિતા અને ભાઈચારો જાળવી રાખવો જોઈએ.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, જો કોઈ રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરશે, તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમની સરકાર બધા માટે છે અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, પછી ભલે તે વ્યક્તિ તેમના 86 વર્ષીય પિતા જ કેમ ન હોય. મારા પિતા નંદકુમાર બઘેલ દ્વારા એક ખાસ સમુદાય સામે ટિપ્પણી કરવામાં આવી છે. સાંપ્રદાયિક શાંતિ ખલેલ પાડી હતી. તેમના આ નિવેદનથી હું પણ દુઃખી છું.