'કાલે સત્તામાં હતા તેમણે કાશ્મીર અંગે શરમજનક નિવેદન કર્યું'
પીએમ મોદીએ કર્ણાટકના ઉજિરામાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની એક દિવસીય મુલાકાતે હતા, વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા પીએમની આ મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કર્ણાટકમાં જનસભા સંબોધિત કરી તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે નોટબંધીથી લઇને જીએસટી સુધીના તમામ મુદ્દાઓ પર કોંગ્રેસ તથા રાહુલ ગાંધી પર નામ લીધા વિના જ પ્રહારો કર્યા હતા. ઉજિરની જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, કાશ્મીરમાં આઝાદી માંગી રહેલા લોકો સાથે એ લોકો સૂર મિલાવી રહ્યા છે, જેઓ પોતે સત્તામાં હતા. કાશ્મીર પર આવા નિવેદનો આપતાં તેમને શરમ નથી આવતી. દેશની અખંડતા-એક્તાનો વિનાશ અમે નહીં થવા દઇએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, જેને કોઇ અલગ ન કરી શકે.

કાશ્મીર અંગે ચિદમ્બરમે કરી હતી ટિપ્પણી
પીએમ મોદીએ આગળ કહ્યું કે, જે ગઇકાલ સુધી સત્તામાં બેઠા હતા, તેઓ અચાનક યૂ ટર્ન લઇ રહ્યાં છે, બેશરમી સાથે નિવેદનો આપી રહ્યાં છે. આવા લોકો દેશના વીરોના બલિદાન પર પોતાનું રાજકારણ કરવામાં લાગેલા છે. એવા લોકોથી દેશનું શું ભલુ થવાનું હતું? કોંગ્રેસે આવા નિવેદન અંગે દરેક ક્ષણે જવાબ આપવો પડશે. અમે દેશની અખંડતા અને એક્તા સાથે સમાધાન કરીશું નહીં અને થવા દઇશું પણ નહીં. ઉલ્લેખનીય છે કે, દેશની પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતાની માંગણીને યોગ્ય ઠરાવતાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ક્ષેત્રીય સ્વાયત્તતા આપવા અંગે વિચાર કરવો જોઇએ, સ્વાયત્તતા પછી પણ તેઓ ભારતનો જ એક ભાગ રહેશે.
રાજકોટ પહોંચ્યા હતા ચિદમ્બરમ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ને ધ્યાનમાં રાખતાં ચિદમ્બરમ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં ભાષણ આપતી વખતે તેમણે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે જ તેમણે જમ્મુ-કાશ્મીર અંગે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. તાજમહેલ અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, આ ખૂબ દુઃખની વાત છે, જે લોકો તાજમહેલના ઇતિહાસ અને સંસ્કૃતિને નથી ઓળખી શકતા તેઓ તાજ અંગે આપત્તિજનક વાતો કહે છે. ચિદમ્બરમના આ નિવેદન પર એક તરફ ભાજપ ગુસ્સામાં છે, તો બીજી બાજુ કોંગ્રેસે પણ હાથ ઉંચા કરી દીધા છે.












Click it and Unblock the Notifications
