દરવાજા પર રાખેલી ટોફી ખાવાથી ચાર બાળકોના મોત, CM યોગીએ તપાસના આદેશ આપ્યા!
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાંથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં ટોફી ખાવાથી ચાર બાળકોના મોત થયા છે. ચાર બાળકોના મોતની માહિતી મળતા જ પોલીસ અધિકારી અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કુશીનગર, 23 માર્ચ : ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાંથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં ટોફી ખાવાથી ચાર બાળકોના મોત થયા છે. ચાર બાળકોના મોતની માહિતી મળતા જ પોલીસ અધિકારી અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક વિભાગની ટીમે ટોફીના રેપરનો કબજો મેળવીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ કેરટેકર સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.
આ મામલો કુશીનગર જિલ્લાના કસાયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુડવા ઉર્ફે દિલીપનગર ગામના સિનસાઈ લાથુર ટોલાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે લગભગ 7 વાગે બે પરિવારના ચાર બાળકોના મોત થયા હતા. સંબંધીઓનું કહેવું છે કે ચારેય બાળકોએ ઘરની બહાર ફેંકેલી ટોફી ખાધી હતી. મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. ત્યારે આ ઘટના બાદ સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મુળિયા દેવી સવારે તેના ઘરનો દરવાજો સાફ કરી રહી હતી, જ્યાં તેને પોલીથીનમાં કેટલીક ટોફી મળી. આમાંથી ત્રણ ટોફી તેણે તેના પૌત્રોને અને એક પાડોશીના બાળકને આપી. આ ટોફી ખાધા પછી થોડી જ વારમાં ચારેય બાળકો બેહોશ થઈ ગયા અને જમીન પર પડી ગયા. બાળકોને તડપતા જોઈને ગ્રામજનોએ એમ્બ્યુલન્સ બોલાવી. પરંતુ લાંબા સમય સુધી એમ્બ્યુલન્સ ન આવતાં દરેક બાળકોને બાઇક પર બેસાડી જિલ્લા હોસ્પિટલ લઇ જવાયા હતા.
ત્યાં ડોક્ટરોએ ચારેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. મૃત બાળકોમાં રસગુલની 5 વર્ષની પુત્રી મંજના, ત્રણ વર્ષની સ્વીટી અને બે વર્ષનો પુત્ર સમરનો સમાવેશ થાય છે. બાલેસરના 5 વર્ષના એકમાત્ર પુત્ર અરુણનું પણ ટોફી ખાવાથી મોત થયું છે. બુધવારે વહેલી સવારે ચાર બાળકોના મોતથી ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે.