લોહીની દલાલીના નિવેદન મામલે ફસાયા રાહુલ ગાંધી, ચંદોલી કોર્ટમાં કેસ ફાઇલ
સર્જીકલ સ્ટ્રાઇક બાદ રાહુલ ગાંધીએ જેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સેનાના લોહીની દલાલીનું નિવેદન આપ્યુ હતુ તે તેમના માટે નવી મુસીબત બની ગયુ છે. રાહુલ ગાંધી પર ચંદોલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક કાર્યક્રમ દરમિયાન આકરો હુમલો કરતા કહ્યું હતુ કે સેનાના લોહી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દલાલી કરી રહ્યા છે. તેમના આ નિવેદન પર ભાજપે પણ આકરો પ્રહાર કર્યો છે.

અમિત શાહે રાહુલની સમજ પર ઉઠાવ્યા સવાલ
અમિત શાહે રાહુલની સમજ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે બટાકાની ફેક્ટરી જેવા ગંભીર મુદ્દાઓ પર જ તેઓ ટિપ્પણીઓ કરે તે વધુ સારુ છે, સર્જીકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓ પર તેઓ ના બોલે. શાહ અહીં અટક્યા નહિ તેમણે કહ્યું કે દેશ જાણે છે કે 2જી ની દલાલી કોણે કરી, કોલસા આયાતની દલાલી કોણે કરી. એવામાં દલાલી જેવા શબ્દોનો પ્રયોગ તે પોતાના પક્ષ માટે જ કરે.
સંરક્ષણમંત્રી બોલ્યા અમુક નેતાઓમાં મર્યાદા બચી નથી
આ તરફ, રાહુલના નિવેદન પર સંરક્ષણમંત્રી મનોહર પરિકર પણ પરોક્ષ રીતે હુમલો કરતા બોલ્યા કે દેશના અમુક નેતાઓમાં બિલકુલ મર્યાદા બચી નથી. તેઓ દેશના જવાનોના સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા છે.
પરિકરે જણાવ્યું કે સેના પર સવાલ ઉઠાવીને તમે દેશની સેનાના શૌર્યને ઓછુ આંક્યુ છે. તેમણે કહ્યું કે હું આવા નિવેદનોથી ઘણો દુખી છું અને તેમને જવાબ આપવા ઇચ્છુ છુ પરંતુ સંરક્ષણ પ્રધાન હોવાને કારણે મારી અમુક મર્યાદાઓ છે અને હું તેને ઓળંગવા માંગતો નથી.
ભાજપે શરુ કર્યુ પ્રદર્શન
આ તરફ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાહુલની સામે પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ લખનૌમાં રાહુલ ગાંધીનું પૂતળુ બાળ્યુ હતુ.












Click it and Unblock the Notifications
