કન્ફોર્મ ટિકિટ પર લોહીના સંબંધીઓ પણ કરી શકે છે રેલયાત્રા!
રાયપુર, 21 ડિસેમ્બર: રેલવેએ મુસાફરોની મુશ્કેલીઓને દૂર કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, પરંતુ જાણકારી ના હોવાના કારણે મુસાફરો એ સુવિધાનો લાભ નથી ઉઠાવી શકતા. એક સુવિધા એવી પણ છે કે કન્ફર્મ રેલવે ટિકિટ લેનાર વ્યક્તિ જો કોઇ કારણે મુસાફરી ના કરી શકે તો તેના લોહીના સંબંધીને આ ટિકિટ પર મુસાફરી કરવા દેવામાં આવે છે.
આ જ રીતે નિશ્ચિત સમય મર્યાદાની અંદર અરજી કરવા પર જાનૈયા, વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને પણ સંશોધિત ટિકિટ આપવાની વ્યવસ્થા છે. અધિકારીક સૂત્રો અનુસાર કોઇ રેલવેની કન્ફર્મ ટિકિટ લેનાર વ્યક્તિ કોઇ કારણોથી પોતે યાત્રા ના કરી શકે તો તે ટિકિટ પર તેના માતા, પિતા, ભાઇ, બહેન, દીકરી, પત્ની(પત્નીના નામે ટિકિટ હોય તો પતિ) મુસાફરી કરી શકે છે. તેમનમે બર્થ આપી દેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આના માટે જરૂરી છે કે પરિવારજનોનું નામ રાશનકાર્ડમાં અથવા અન્ય કોઇ દસ્તાવેજમાં હોવું જોઇએ.
આ સુવિધા મેળવવા માટે ટ્રેઇન ઉપડવાના 24 કલાક પહેલા મુખ્ય આરક્ષણ નિરીક્ષક (સીઆરએસ)ને અરજી આપવાની રહેશે. આ પ્રકારે જો કોઇ સરકારી કર્મચારી કન્ફર્મ ટિકિટ લીધા બાદ મુસાફરી ના કરી શકે તો તેના બદલે તેની ટિકિટ પર અન્ય સહકર્મચારી યાત્રા કરી શકે છે.
અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થી અને જાનૈયાઓમાંથી માત્ર 10 ટકા સભ્યોને જ આ સુવિધા આપવામાં આવશે. રાયપુર રેલવે મંડળના જનસંપર્ક અધિકારી રતન બસાકે જણાવ્યું કે આ નિયમ ખૂબ જ પહેલાથી લાગુ છે, પરંતુ જાણકારીના અભાવના કારણે મુસાફરો આ સુવિધાનો લાભ ઉઠાવી શકતા નથી.