કોંગ્રેસ ચિંતન શિબિરઃ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
ઉદયપુરમાં ચાલી રહેલ કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીને પક્ષના પૂર્ણકાલિન અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી. આ ઉપરાંત પણ ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. જાણો વિગત.
જયપુરઃ ઉદયપુરમાં ચાલી રહેલ કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીને પક્ષના પૂર્ણકાલિન અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી. આની માંગ કરીને કેરળના લોકોસભા સાંસદ ટીએન પ્રતાપને મોટી વાત એ કહી કે કોંગ્રેસ અધ્યક્ષ નિયમિત નેતા(Consistent leader)હોવા જોઈએ. કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે માટે ઉદયપુર ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષને લઈને ઔપચારિક ચર્ચા થવાની નથી પરંતુ પાર્ટી નેતૃત્વમાં સ્પષ્ટતાની માંગ નેતાઓ કરી રહ્યા છે. આ કડીમાં કેરળના લોકસભા સાંસદે રાહુલ ગાંધીના ફરીથી કમાન સંભાળવાની માંગ કરી છે.
આ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની તમામ બેઠકોમાં વરિષ્ઠ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચમાં યોજાયેલી SIDBIની બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી સોનિયા ગાંધીએ ફરીથી પાર્ટીની કમાન સંભાળવી પડી.
પક્ષના પદાધિકારીઓનું વાર્ષિક ઓડિટ
કેટલાક પ્રતિનિધિઓ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ દરખાસ્ત પણ કરવામાં આવી છે કે મહાસચિવ, જિલ્લા પ્રમુખો અને સાંસદ-ધારાસભ્ય અને તમામ મોરચાના સંગઠનોથી લઈને તમામ કાર્યક્રમોનું વાર્ષિક ઓડિટ પણ કરવામાં આવે.
ગ્રીવન્સ સેલની રચના અંગે પણ થઈ વાત
વળી, ચિંતન શિબિર દરમિયાન એવી દરખાસ્ત પણ કરવામાં આવી છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક ફરિયાદ સેલની પણ રચના કરવી જોઈએ. જે કોંગ્રેસ અધ્યક્ષની સાથે નેતાઓ અને કાર્યકરોની ફરિયાદોનો નિકાલ કરી શકે. એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે કોંગ્રેસ પ્રમુખે સંગઠનના નેતાઓ અને કાર્યકરોના અલગ-અલગ વોટ્સએપ ગ્રૂપ બનાવવા જોઈએ અને તેમાં તમામ મુદ્દાઓ પર વારંવાર તેમના વીડિયો મેસેજ મોકલવા જોઈએ.
ભાજપ પર નફરત ફેલાવવાનો આરોપ
આ ચિંતન શિબિર વિશે વાત કરતાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંગઠનની સામે આ સ્થિતિ અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે અમને સુધારા અને રણનીતિમાં પરિવર્તનની સખત જરૂર છે. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય છે. આ દરમિયાન અલ્પસંખ્યકો પર હુમલાનો મુદ્દો ઉઠાવતા સોનિયા ગાંધીએ એક તરફ પીએમ મોદીના મૌન પર નિશાન સાધ્યું તો બીજી તરફ ભાજપ પર દેશમાં નફરતનું વાતાવરણ બનાવવાનો આરોપ પણ લગાવ્યો.
એવી માંગણી કરવામાં આવી છે કે કોંગ્રેસ અધ્યક્ષ દર અઠવાડિયે એક દિવસ પાર્ટીના કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે મળે અને તેમની સાથે વાતચીત કરે. લાંબા સમયથી કોંગ્રેસની અંદર અનેક આગેવાનો અને કાર્યકરો એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ વર્ષોથી પક્ષ પ્રમુખને મળી શકતા નથી અને તેમનું સાંભળવામાં પણ આવતું નથી.