લોકસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળવું જોઇએ : સોનિયા ગાંધી
નવી દિલ્હી, 7 જુલાઇ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળવું જોઇએ. આ પદ માટે તેમણે કોંગ્રેસ તરફથી દાવો કર્યો છે. સોનિયા ગાંધીનું કહેવુ છે કે કોંગ્રેસ પક્ષ વિપક્ષનો સૌથી મોટો પક્ષ છે. આ કારણોસર કોંગ્રેસને વિપક્ષી નેતા પદ મળવું જોઇએ. આ સંદર્ભમાં સોનિયા ગાંધીએ કહયું કે વિપક્ષી નેતા પદ માટે કોંગ્રેસનો દાવો ઘણો મજબુત છે અને પક્ષ હાલ આ માટે કોર્ટમાં જવાના વિકલ્પ ઉપર વિચાર નથી કરતી.
નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસના સિનિયર નેતા કમલ નાથે ગઈ કાલે જણાવ્યું હતું કે સ્પીકર સુમિત્રા મહાજનનો નિર્ણય કોંગ્રેસ વિરુદ્ધનો હોય તો પક્ષે એને કોર્ટમાં પડકારવો જોઈએ. કુલ 543 સભ્યોવાળી લોકસભામાં 10 ટકા બેઠકો ધરાવતા હોય એવા પક્ષને જ વિરોધ પક્ષના નેતાનું પદ મળે એવો કોઈ નિયમ નહીં હોવાનું ભારપૂર્વક જણાવતાં સંસદીય બાબતોના ભૂતપૂર્વ પ્રધાન કમલ નાથે નવી દિલ્હીમાં કહ્યું હતું કે સંસદીય પ્રક્રિયાને અનુસરવાની વાત હોય ત્યારે સ્પીકર સામાન્ય રીતે તટસ્થ રહેતા હોય છે, પરંતુ વિવાદની સ્થિતિમાં તેમનું વલણ અલગ હોઈ શકે છે.

કોંગ્રેસના કમલનાથના નિવેદન પર ભાજપના નેતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે કોંગ્રેસને કોર્ટમાં જવાનો અધિકાર છે. વડાપ્રધાનનું પદ ન મળે તો પણ તમે કોર્ટમાં જઈ શકો છો. આ દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતે કોર્ટમાં રાવ નાખી શકે છે. બંધારણ એની પરવાનગી આપે છે. લોકોએ ચુકાદો આપી દીધો છે અને આ મામલો બંધારણને લગતો છે. સ્પીકરના ચુકાદાને બધાએ માન આપવું જોઈએ અને સ્પીકરના દિશાદર્શન માટે પરંપરા, કાયદાઓ, નિયમો અને ઉદાહરણો ઉપલબ્ધ છે. એ બધાં લોકોની નજર સામે છે.
કોંગ્રેસના ઐતિહાસિક પરાજય બાદ લોકસભામાં વિપક્ષી નેતા પદ મેળવવાનો કોંગ્રેસનો દાવો નબળો પડયો છે. ભાજપનો પુરેપુરો પ્રયાસ છે કે સંખ્યાબળને માનતા કોંગ્રેસને આ પદ મળવુ ન જોઇએ. બીજી તરફ કોંગ્રેસ આ પદ માટે જોરશોરથી પ્રયાસ કરી રહયુ છે. કોંગ્રેસે એવી પણ શંકા વ્યકત કરી છે કે સ્પીકર સરકારને ઇશારે કોઇ નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
