ગોવામાં BJP સરકાર મામલે સંસદમાં ઘમસાણ, કોંગ્રેસનું વોકઆઉટ
કોંગ્રેસનું કહેવું છે કે, આ બંન્ને રાજ્યોમાં તે મોટી પાર્ટી હોવા છતાં રાજ્યપાલે કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપ્યું.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ના પરિણામો બાદ ભાજપ દ્વારા ગોવા અને મણિપુર માં સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સંસદમાં હોબાળો થયો હતો. કોંગ્રેસે ગોવા અને મણિપુરમાં ભાજપના સરકાર રચવાના નિર્ણયને મુલતવી રાખવાની માંગ લોકસભામાં કરી હતી. પરંતુ લોકસભાની કામગીરી શરૂ થતાં જ કોંગ્રેસ સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવાના ભાજપના દાવા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણય લીધો છે.
કોંગ્રેસનું કહેવું છે કે, આ બંન્ને રાજ્યોમાં તે મોટી પાર્ટી હોવા છતાં રાજ્યપાલે કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપ્યું. આ વાતે નારાજ કોંગ્રેસ પાર્ટી સંસદમાં ભાજપ અને સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે. પાર્ટી તરફથી લોકસભામાં મોકૂફનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ, ભાજપે લોકસભામાં પોતાના તમામ સાંસદોને વ્હિપ જાહેર કરી સંસદમાં ઉપસ્થિત રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અહીં વાંચો - પર્રિકરનો શપથ ગ્રહણ કાર્યક્રમ યથાવત, 16મીએ સાબિત કરશે બહુમત
ગોવાઃ કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
ગોવામાં ભાજપ દ્વારા સંગઠિત સરકાર બનાવવાના દાવાને કોંગ્રેસે ગેરબંધારણીય જણાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે, આ વાતને ધ્યાનમાં રાખતાં રાજ્યપાલે કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવી જોઇતી હતી. પણજી ખાતે આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી, જેમાં તમામ સંભાવનાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. આખરે કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
અહીં વાંચો - મણિપુર: ભાજપ સરકારના નવા CM, બિરેન સિંહ કોણ છે?
મણિપુરઃ કોંગ્રેસ-ભાજપ બંન્નેએ કર્યો સરકાર બનાવવાનો દાવો
મણિપુરમાં રાજકારણીય નાટક શરૂ થયું છે. મણિપુરમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને દ્વારા સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સાસંદ રિપુન બોરાએ કહ્યું કે, ભાજપ ધારાસભ્યોને ખરીદી લોકતંત્રની હત્યા કરી રહ્યું છે.