આજથી દેશભરમાં મોંઘવારી-બેરોજગારી સામે કોંગ્રેસનુ હલ્લા-બોલ, 28મીએ દિલ્લામાં વિશાળ રેલી
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પાર્ટી આજથી દેશની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરશે.
નવી દિલ્લીઃ મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પાર્ટી આજથી દેશના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ મોંઘવારી ચૌપાલ અંતર્ગત આજથી દેશભરમાં આ પ્રદર્શન શરૂ કરવા જઈ રહી છે. જુદા જુદા રાજ્યોમાં આ પ્રદર્શન 27 ઓગસ્ટ સુધી ચાલશે અને ત્યારબાદ 28 ઓગસ્ટે દિલ્લીના રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજાશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે મોંઘવારી ચૌપાલ સંવાદનો એક કાર્યક્રમ છે જેમાં મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા કરવામાં આવશે. આ ચૌપાલ મંડીઓ, બજારો અને વિધાનસભા ક્ષેત્રના વિવિધ સ્થળોએ કરવામાં આવશે.

જયરામ રમેશે જણાવ્યુ હતુ કે આ બેઠકોની શ્રેણી 27 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે અને ત્યારબાદ 28 ઓગસ્ટે રામલીલા મેદાનમાં એક વિશાળ રેલી યોજાશે, જેમાં પક્ષના ટોચના નેતાઓ લોકોને સંબોધિત કરશે. આ પહેલા કોંગ્રેસે 5 ઓગસ્ટે મોંઘવારી, બેરોજગારી સામે દેશવ્યાપી પ્રદર્શનનુ આયોજન કર્યુ હતુ. કોંગ્રેસે રસ્તા પર ઉતરીને મોદી સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કર્યો હતો. જયરામે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણી જોઈને આ પ્રદર્શનને કાળા જાદુ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે ભાજપની અસુરક્ષા દર્શાવે છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી અને બેરોજગારીને રોકવામાં નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી આ લડાઈને આગળ લઈ જશે, અમે મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ અનેક પ્રદર્શનો કરીશુ.
જયરામ રમેશે કહ્યુ કે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે ભારતની જનતા પરેશાન છે, કોંગ્રેસ પાર્ટી આ સરકારને આખા દેશમાં ખુલ્લી પાડશે. જંગી ટેક્સ લાદીને લોકો પર મોંઘવારીનો બોજ નાખવામાં આવી રહ્યો છે. દહીં, છાશ, પેકેજ્ડ અનાજ પર ટેક્સ લાદવામાં આવી રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સરકાર મૂડીવાદી સરકાર છે, સરકાર જનતા દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સમાંથી કમાણી કરીને મૂડીવાદીઓને આપી રહી છે. સરકારે મૂંઝવણભરી અગ્નિપથ યોજના રજૂ કરી, જેણે રોજગારની સ્થિતિ વધુ ખરાબ કરી. કોંગ્રેસ પક્ષ કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ વિશે લોકોને જાગૃત કરવાનુ ચાલુ રાખશે.












Click it and Unblock the Notifications
