સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, શું કહ્યું? વાંચો અહીં
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, તેમણે આ પત્ર મહિલા આરક્ષણના મુદ્દે લખ્યો છે. ઉત્તર પ્રદેશથી રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્રમાં લખ્યું છે કે, તમને યાદ હશે કે, 9 માર્ચ, 2010ના રોજ રાજ્યસભા દ્વારા મહિલા આરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ બિલ કોઇ ને કોઇ કારણોસર લોકસભામાં અટકેલું છે. હું તમને આગ્રહ કરું છું કે, તમે લોકસભામાં પણ તમારા બહુમતનો લાભ લઇ મહિલા આરક્ષણ બિલ પાસ કરાવો.
સોનિયા ગાંધીએ આગળ લખ્યું છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશાથી આ બિલના પક્ષમાં રહ્યું છે, સાથે જ મહિલા સશક્તિકરણ માટે પણ આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષ અને તેના સ્વર્ગસ્થ નેતા રાજીવ ગાંધી એ પહેલા વ્યક્તિ હતા, જેમણે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં મહિલાઓ માટેના આરક્ષણની વ્યવસ્થા કરવા માટેની જોગવાઇનું સંશોધન કર્યું હતું. વર્ષ 1989માં વિપક્ષી દળો દ્વારા તેને નકારવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 1993માં 73મા અને 74મા સંશોધનના સ્વરૂપમાં આ બિલ સંસદના બંને સંદનમા પાસ થયું હતું.